હિંમતનગર શહેર પોલીસે એક સરાહનીય કામ કર્યું છે જેમાં એક નવજાત અજાણ્યા બાળકની સારવાર પોલીસ પરિવારજન તરીકે કરી રહી છે. હોસ્પિટલના બીછાને સારવાર લેતી બાળકીને ધરતી પર આવ્યાના માત્ર 7 દિવસ થયા છે અને પરિવારજન સહિત માત-પિતાએ તરછોડી ફરાર થતાં પોલીસને હોસ્પિટલ દ્વારા જાણ કરાતા પોલીસે યોગ્ય સારવારને પ્રાથમિકતા આપી. બાળકીની કાળજી લેવાની જવાબદારી તેના માતા-પિતા છે પણ ખાખી વર્દીધારી પોલીસ કર્મી કરી રહ્યા છે.
હિંમતનગર શહેરના બી ડીવીઝન પોલીસને એક ફરીયાદ આવી કે, એક બાળકને હોસ્પિટલમાં જ જન્મ આપીને તેના માતા અને સાથે આવેલા પિતા ત્યજીને જતા રહ્યા છે. પોલીસ તપાસ માટે ફરીયાદ આગળ સાંભળે એ પહેલા જ પી એસ આઇ પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેને વિશેષ પ્રકારની સારવારની જરુર છે. પોલીસે ફરીયાદની કાર્યવાહીને બાજુ પર મુકીને પહેલા જ બાળકની ખબર અંતર લેવા માટે હોસ્પિટલ પહોંચી અને તેને તાત્કાલીક સારવાર માટેની તમામ સુવિધાઓ શરુ કરાવી દીધી.પોલીસને ડૉક્ટર તરફથી જાણવા મળ્યું કે બાળકને શ્વાસની તકલીફ છે. બાળકીને શ્વાસનળીની સર્જરી કરવી પડશે અને તે હિંમતનગરમાં શક્ય નથી માટે તેને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવશે
કુદરતે અજાણ્યા બાળકને જીવન જીવવા માટે આપેલી પરીક્ષા પણ પોતાની જ હોવાનુ માનીને સર્જરી કરવાની તમામ જવાબદારી પણ બી ડીવીઝન પોલીસે ઉપાડી લીધી અને બાળકના માતા અને પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી લઇ વાલી તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી દીધી છે.
બાળકને સારવાર આપી રહેલા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, બાળકને તેની માતા અને પિતા ત્યજી ને જતા રહ્યા છે. તેની સ્થિતિ નાજુક હતી. તેને સારવાર આપવામાં આવી છે અને તેને સર્જરીની જરુર છે. તે પણ અમદાવાદ કરવામાં આવશે. આ માટેની તમામ વાલી તરીકેની જવાબદારી અને સર્જરી માટેના ખર્ચની જવાબદારી પણ પોલીસે ઉપાડી લીધી છે.