પાલનપુર સરહદી બનાસકાંઠા જિલ્લામાં પગાર વધારા સહિતની વિવિધ પડતર માંગોને લઇ સરકાર સામે બાંયો ચડાવનાર આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ આખરે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચૂંટણીપંચ દ્વારા તેમને મતદાન સમયે મતદાન મથકો પર બાળકોના ઘોડિયા સાંભળવા અપાયેલી વધારાની કામગીરીનો પણ સામૂહિક રીતે બહિષ્કાર કરવાનું એલાન કરતા તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે.સરહદી બનાસકાંઠા જિલ્લાની ૩૩૦૦ આંગણવાડી કેન્દ્રની ૬૬૦૦ જેટલી આંગણવાડી કાર્યકરો અને તેડાગરો ફરજ બજાવે છે. જેઓની ગતરોજ પાલનપુર તાલુકાના ચડોતર ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ પડતર પ્રશ્નોને લઇ આગામી લોકસભા ચૂંટણીનો પરિવાર સાથે બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત નામદાર કોર્ટ અને નિયામક ના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરો અને તેડાગરોએ આઈ.સી.ડી.એસ સિવાય વધારાની કામગીરી ન સોંપવા છતાં આગામી લોકસભાની ચૂંટણીમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકરોને મતદાન મથક ઉપર ઘોડિયા સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેના વિરોધમાં આજે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટર બાભણીયાને લેખિત રજૂઆત કરી ઘોડીયા કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.