હિંમતનગર તાલુકાના કડોલી (મુનપુર પાટીયા) ખાતે આવેલી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના બનાવટી આઈકાર્ડ બનાવીને સાચા આઈકાર્ડ તરીકે મજૂર અદાલતમાં રજૂ કરતાં કોલેજના ઈન્ચાર્જ આચાર્યે મોટું આઈકાર્ડ બનાવનાર કાનડા ગામના વિનોદસિંહ રણજીતસિંહ ઝાલા સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કડોલી ખાતે આવેલી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય કેશરીસિંહ સોનસિંહ પરમારે નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે તેઓની કોલેજ દ્વારા અમદાવાદની એક કંપનીને સિક્યુરિટી સર્વિસનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેની ગ્રાન્ટ ર૦૧૪/૧પ માટે ૮ થી ૧૦ લાખ ફાળવાયા હતા. બાદમાં તા. ૩૦ નવેમ્બર ર૦૧પ ના રોજ સિક્યુરિટી સર્વિસ કંપનીએ કાનડા ગામના ઝાલા વિનોદસિંહ રણજીતસિંહ અને તેમનો પુત્ર જયદિપસિંહ સહિત નવ જણની નિમણુંક આપી હતી. આ નવ કર્મીઓ ત્રણ સીફ્ટમાં નોકરી કરતા હતા, પરંતુ વિનોદસિંહ અને જયદિપસિંહે તા. ૧૬ એપ્રિલ ર૦૧૬ થી નોકરી પર આવવાનું બંધ કરી દેતાં કોલેજ દ્વારા અમદાવાદની સિક્યુરીટી કંપનીને જાણ કરવામાં આવતાં કંપનીએ ૧૮ એપ્રિલથી પિતા- પુત્રની જગ્યાએ બીજા બે માણસો મોકલી આપ્યા હતા. ત્યારબાદ ૬ જૂન ર૦૧૬ ના રોજ વિનોદસિંહે કોલેજમાં આવીને રજુઆત કરી હતી કે તેમને કેમ છૂટા કરાયા છે. તેથી આચાર્યે જણાવ્યું હતું કે તમે ન આવતાં કંપનીએ બીજા બે માણસોની નિમણુંક કરી છે જેથી કંપનીમાં વાત કરી લો. ત્યારબાદ વિનોદસિંહે આ મામલે મદદનીશ શ્રમ આયુકતમાં ગયા હતા અને આ કેસ મજૂર અદાલતમાં રિફર કરાયો હતો. જેની મુદ્દત ર૪ ઓક્ટોબરે પડતાં આચાર્ય ઉપÂસ્થત રહેતા સામેવાળા વકીલે પિતા- પુત્રનું કોલેજનું આઈકાર્ડ બતાવતા જાણવા મળ્યું હતું કે આવું કોઈ કાર્ડ કોલેજ દ્વારા ઈસ્યુ કરવામાં આવતુ નથી. જેથી આચાર્યે આ અંગે વિનોદસિંહ સામે ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.