ભારતીય જનતા પાર્ટી પોતાના સ્થાપના સમયે જાતિગત રીતે હિન્દૂ સવર્ણોની પાર્ટી અને આર્થિક રીતે શહેરી મધ્યમવર્ગની પાર્ટી તરીકે ઉભરી હતી. પરંતુ ત્યારબાદ તેણે ધીમે-ધીમે ગામડાઓમાં પણ પગપેસારો શરૂ કર્યો. એંશીના દશકમાં ગુજરાતમાં પણ ભાજપ મોટેભાગે સવર્ણ મતદારો અને નેતાઓ પર નિર્ભર હતું. પરંતુ આ નીતિમાં આમૂલ પરિવર્તન નરેન્દ્ર મોદીના ઉદય બાદ થયું. 1995 માં ગુજરાતના ગામડાંઓ સર કરીને તેમણે ગાંધીનગરની ગાદીએ કમળ ખીલવ્યું. 'સબ કા સાથ,સબકા વિકાસ' જેવા નારાઓની મદદથી ભાજપનું કોઈ એક જાતી વિશેષના પક્ષ તરીકેનું મહેણું ભાંગ્યું હતું.
પોતાના દીર્ઘ શાસનકાળ દરમિયાન ખુદ ગરીબઘરના અને બક્ષીપંચમાંથી આવતા હોય ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે પુરુષોત્તમ રૂપાલા, રણછોડ ફળદુ જેવા પાટીદાર સવર્ણ નેતાઓની નિમણુંક કરીને જાતીગત સંતુલન જાળવી રાખ્યું હતું પરંતુ મોદીના દિલ્હીગમન બાદ આનંદીબેન અને રૂપાણી સરકારમાં આ સંતુલન ખોરવાઈ જતું જણાય રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનના મધ્યાહને આનંદીબેનના રાજીનામા બાદ પાટીદારોનો રોષ શાંત પાડવા માટે અમિત શાહે પોતાના વિશ્વાસુ અને ભાવનગરના યુવા નેતા જીતુ વાઘાણીને પ્રદેશ ભાજપની કમાન સોંપી હતી.
જો કે આ સમીકરણ સાધ્યા બાદ વિપક્ષને એક મુદ્દો બક્ષીપંચને થયેલા અન્યાયનો મળી ગયો અને ભાજપ પક્ષમાં અને સરકારમાં બક્ષીપંચના નેતાઓનો કાંટો નીકળી ગયાની પણ અંદરખાને ચર્ચાઑ ઉઠી બાકી એક સમયે સોલંકી બંધુઓ, બાબુ બોખીરિયા, વાસણ આહિર. જેવા બક્ષીપંચના નેતાઓ સરકાર અને પક્ષમાં પ્રતિનિધિત્વ ધરાવતા હતા. અધૂરામાં પૂરું જીતુ વાઘાણીએ પણ અનેક બિન-જવાબદાર નિવેદનો આપીને ભાજપ મોવડી મંડળમાં પણ અળખામણા બની રહ્યા હતા. ત્યારબાદ લોકસભા સમયે ભાજપે બક્ષીપંચના મતદારોને લોભાવવા માટે કોળીનેતા કુંવરજી બાવળિયાને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ આવીને માસ્ટરસ્ટ્રોક માર્યો હતો. તાજેતરમાં ઓબીસીના નેતા હોવાનો દાવો કરતા અલ્પેશ ઠાકોરને પણ ભાજપમાં સમાવીને સત્તાધારી પક્ષે ત્રાજવું સંતુલિત કર્યાનું મન મનાવ્યું હતું.
હવે જ્યારે જીતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે ત્રણ વર્ષ પૂરાં કરી ચુક્યા છે ત્યારે એવું મનાય રહ્યું છે કે જીતુ વાઘાણીને મંત્રી પરિષદમાં સામેલ કરીને ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ ઓબીસી ચહેરાને તક આપશે. હવે પક્ષ જ્યારે કોળી સમાજના કદાવર સોલંકી બંધુઓને કદ પ્રમાણે વેતરી ચુક્યો છે, બાબુ બોખીરિયા જેવા અનુભવી મંત્રી પણ ભ્રસ્ટાચારના આરોપ બાદ હાંસિયા ધકેલાય ગયા છે અને વજુભાઇ પણ બેગ્લોરના રાજભવનમાં છે ત્યારે બની શકે કે કોળીનેતા કુંવરજી બાવળિયાને પક્ષ પ્રમુખ બનાવીને સત્તાનું આ સમીકરણ સંતુલિત કરે
પરંતુ ભાજપના કાર્યકરો કદાચ બાહરી વ્યક્તિનો પ્રમુખ તરીકે સ્વીકાર ના કરે તો એ સમયે ઉત્તર ગુજરાતના લોકપ્રિય નેતા અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પણ આ પદ માટે લાયક ઉમેદવાર બની શકે. પણ આ બધી શક્યતાઓ બાદ કદાચ મોદી-શાહ હંમેશની જેમ કોઈ નવો જ દાવ ખેલે તો પણ નવાઈ નહી હોય.