દિયોદરઃ કેનાલમાં ગાબડું પડતાં નજીકના ખેતરો બન્યા તળાવ
દિયોદરની કોતરવાડા કેનાલમાં ગાબડું પડતાં પાણી ખેતરમાં ફરી વળ્યા છે. માઇનોર કેનાલમાં ૨૦ ફૂટનું તોતિંગ ગાબડું પડતા આસપાસના ખેતકરો વગર ચોમાસે તળાવમાં પરિવર્તિત થઇ ગયા છે. પાણી ઉભા પાકમાં વેડફાઇ જતાં ખેડૂતોને નર્મદાના વાંકે મોટું નુકશાન થયું છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનેલી ભ્રષ્ટાચારની કેનાલોમાં વારંવાર ગાબડાં પડી રહ્યા હોઇ જીલ્લાના ખેડૂતો ત્રાહીમામ્ પોકારી ગયા છે.
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા-સનેસડા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે.૨૦ ફૂટનું ગાબડું પડતાં ખેતરોમાં ઉભા પાકમાં પાણી ભરાતાં તળાવ જેવા બની ગયા છે. હજુ પાક ઉભો થઇ રહ્યો છે ત્યારે કેનાલનું પાણી ફરી વળતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં આવ્યા છે. આજે સવારે ગાબડું પડતાં હજારો ક્યુસેક પાણી નજીકની કૃષિજમીનમાં ફેલાઇ જતાં ભર શિયાળે ચોમાસા જેવો નજારો ઉભો થયો છે.