બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવારની પસંદગી કરવા હાલ દિલ્હી દરબારમાં પક્ષના મોવડીઓ રાત ઉજાગરા કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના રાજકીય પ્રવાહોએ અચાનક અને અનપેક્ષિત વળાંક લીધો છે. બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે એકમાત્ર પ્રબળ દાવેદાર મનાતા પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ આજે મોડી સાંજે એકાએક પોતાની દાવેદારી પરત ખેંચી લઇ સૌને ચોંકાવી દીધા છે.
બનાસકાંઠા બેઠક માટે આ વખતે ભાજપની ટીકીટ માટે ચાર દાવેદારોના નામની પેનલ બની હોવાના અહેવાલો વચ્ચે શંકરભાઇ ચૌધરી એકમાત્ર મજબૂત દાવેદાર મનાઈ રહ્યા હતા. જોકે આ વખતે અન્ય સમાજના દાવેદારો પણ ટીકીટ ઈચ્છી રહ્યા હોઇ દરેક સમાજને સાથે લઈને ચાલવા માટે જાણીતા શંકરભાઇ ચૌધરીએ જિલ્લા સમિતિનું ધ્યાન દોરી અન્ય દાવેદારોના સમર્થનમાં પોતાની દાવેદારી પાછી ખેંચી લઈ સૌને આચરજમાં મૂકી દીધા છે. પોતે દરેક સમાજની પુરી ઈજ્જત કરતા હોઈ અન્ય દાવેદારો માટે માર્ગ મોકળો કરવાના આશયથી જ પોતે આ માર્ગ અપનાવ્યો હોવાનો દાવો કરી શંકરભાઇએ સૌ કોઈના દિલ જીતી લીધા છે.હવે બનાસકાંઠા બેઠક માટે તેમના સિવાય કોઈ પણ દાવેદારને તક આપવા પક્ષના મોવડી મંડળને પણ મોકળાશ આપી શંકરભાઇએ ફરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ગુડ બુકમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવી દીધું છે.આવી સ્થિતિમાં હવે શંકરભાઈના છુપા કે જાહેર આશીર્વાદ જ ભાવિ ઉમેદવારને તારી શકશે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે.જોકે શંકરભાઇ ચૌધરીએ આવું શાણપણ વાપરી જંગ લડ્યા વગર જ જનતાના દિલ જીતી લીધા છે.