પાલનપુર : વડગામ તાલુકાના નાંદોત્રા ગામની યુવતીની હત્યા લઇને સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે આજે પાલનપુર ખાતે ચૌધરી સમાજે એકત્ર થઇ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી હતી.
વડગામ તાલુકાના નાંદોત્રા ગામમાં ખેતરમાં મજૂરી કરતા સગીર વય ના ભાગીયાએ માલિકની દીકરીની હત્યા કરી નાખી હતી. દુષ્કર્મ કરવાના ઇરાદે આવેલા સગીરે ખેતરના માલિક ની પુત્રી તાબે ન થતાં ગળાના ભાગે દાતરડું મારીને હત્યા કરી હતી. જોકે, પોલીસે આરોપીને તો ઝડપી લીધો છે. પરંતુ આ યુવતીની હત્યાને લઈને સમગ્ર ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
દરમિયાન, ચૌધરી સમાજ મોટી સંખ્યામાં પાલનપુર દોડી આવ્યો હતો. જ્યાં તેઓએ આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ સાથે અખિલ ભારતીય આંજણા યુવા મહા સંગઠનના નેજા હેઠળ જિલ્લા કલેકટર સંદીપકુમાર સાંગલેને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય ડો. હિતેશ ચૌધરી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હરેશ ચૌધરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ સહીત મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં યુવતીની છેડતી અને હત્યાઓ સહીત મહિલા અત્યાચારના ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. ત્યારે એક દીકરીની હત્યા મામલે ન્યાય મેળવવા સમાજને બહાર આવવું પડયુ છે. આ વિશાળ મૌન રેલીમાં ૩૦૦૦ કરતા વધુ આંજણા પટેલ સમાજના યુવાનો જોડાયા હતા. સમગ્ર મૌન રેલીનું આયોજન અખિલ ભારતીય આંજણા/ પટેલ સમાજ યુવા મહાસંગઠના પ્રમુખ હિતેશ ચૌધરી, જિલ્લા પ્રમુખ ગોવિંદ ચૌધરી, જિલ્લા મહામંત્રી દીલુ ચૌધરી કર્યું હતું.