સિધ્ધપુર ખાતે કાર્તિકી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં લોકો તર્ષણવિધિ અર્થે અને મેળામાં મનોરંજન માટે આવતા હોય છે. આ મેળામાં વેપારીઓ દ્વારા મીઠાઇ-ફરસાણ અને વિવિધ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણ અર્થેના સ્ટોલ ઉભા કરવામાં આવે છે. અ મેળામાં આવતા લોકો-ગ્રાહકો કોઇપણ પ્રકારની છેતરપિંડીનો ભોગ ના બને અને ગ્રાહકો- લોકો છેતરાય નહી તે માટે મહેસાણા જીલ્લા તોલમાપ અધિકારી એન.એમ.રાઠોડ અને તેમના નિરીક્ષકોની ટીમ દ્વારા આ મેળામાં સતત સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ કરતાં ગ્રાહકોએ ખરીદેલ ચીજવસ્તુનો જથ્થો ગ્રાહકોએ માંગ્યા મુજબ પુરો મળે છે કેકેમ? તેમજ સીલબંધ પેકેટોમાં વેચાણ કરવામાં આવતી ચીજ વસ્તુઓના પેકેટ પર ગ્રાહકોની જાણકારી અર્થેના જરૂરી ફરજીયાત નિર્દેશનો કરવામાં આવે છે કે કેમ? તેમજ વેપારીઓ દ્વારા વેપાર માટે ઉપયોગમાં લેવાતા ઇલેક્રટોનિક્સ/મીકેનીકલ વજનમાપ સાધનો તોલમાપ વિભાગ દ્વારા સર્ટીફાઇડ થયેલા છે કે કેમ? તેવી વિવિધ જોગવાઇઓ અન્વયે ધી લીગલ મોટ્રોલોજી એકટ-ર૦૦૯ અને ધી પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ ના નિયમોનું બરાબર પાલન થયેલ છે કે કેમ? તે અંગે આ મેળામાં ખાસ ઝુંબેશરૂપે આકસ્મિક તપાસ હાથ ધરવમાં આવી. આ તપાસ દરમ્યાન મેળામાં કુલ ર૬ વેપારી એકમો સામે ધી લીગલ મોટ્રોલોજી એકટ-ર૦૦૯ અને ધી પેકેજ કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ ના નિયમોની કુલ-૩૯ જેટલી જોગવાઇઓના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરી પ્રોસિકયુશન કેસ કરવામાં આવેલ અને રૂ.૨,૪૫,૦૦૦/- નો દંડ વસૂલ કરાયોહતો, આ કાર્યવાહિથી સિધ્ધપુરના અન્ય વેપારીઓમાં ફફડાટ પેસી જવા પામેલ હતો.