કેન્દ્ર સરકાર દ્વારા જ્યારથી નાગરિકતા સંશોધન કાયદો(CAA) પસાર કરવામાં આવ્યો છે. ત્યારથી દેશમાં મોટાભાગે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે કેટલાક રાજ્યો CAAને સમર્થન આપી રહ્યા છે. પરંતુ કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.ત્યારે હવે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતાઓએ CAAને લઈ એક મહત્વની બેઠક કરી છે. જે ગાંધીનગર ખાતે આવલે પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમમાં થઈ. મળતી માહિતી મુજબ આ બેઠકમાં CAAના સમર્થનમાં જનજાગરણ કાર્યક્રમને લઈને ચર્ચા કરવામાં આવી. જે હેઠળ ૫ જાન્યુઆરીથી BJP દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે અને ઘરે ઘરે જઈને ભાજપના કાર્યકરો લોકોને CAA વિશે સમજાવશે એમ નિર્ણય લેવામાં આવ્યો છે.આ બેઠકમાં ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના આગેવાનોએ હાજરી આપી હતી. ઉપરાંત સહસંગઠન મહામંત્રી વી.સતીષ પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે CAA અને NCRને લઈ રાજ્યમાં પણ કેટલીક જગ્યાએ લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાંથી અમદાવાદના શાહઆલમ સહિત અમુક વિસ્તારોમાં પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું.