પાલનપુર
અમદાવાદના ઓઢવમાં જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરની જિલ્લા પંચાયત બિલ્ડીંગ પણ જર્જરીત છે. ત્યારે કોઈ અનહોની સર્જાય તે પૂર્વે જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ રીનોવેશન માંગી રહ્યું છે.
બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરની જિલ્લા પંચાયતના ૫ માળનું બિલ્ડીંગ આશરે પાંત્રીસ વર્ષ પહેલાં નિર્માણ થયું હતું. સમગ્ર જિલ્લાનો વહીવટ આ જિલ્લા પંચાયતમાંથી થાય છે. ત્યારે જિલ્લા પંચાયતની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે જિલ્લા પંચાયત બિલ્ડિંગના કેટલાક ભાગમાં પોપડા ઉખડી રહ્યા છે. જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં તિરાડો પડી ગઈ છે. અને જિલ્લા પંચાયતનું મકાન જર્જિરત હાલતમાં છે. ત્યારે અહીંયા એક હજારથી વધુ કર્મચારીઓ અહીંયા ફરજ નિભાવી રહ્યા છે. જ્યારે હજારો અરજદારો રોજિંદા કામ અર્થે આવે છે. ત્યારે આ જર્જરીત જિલ્લા પંચાયત કોઈ જાનમાલનું નુકસાન કરે એ પહેલાં તેના રિનોવેશનની માંગ ઉઠી છે. પાંત્રીસ વર્ષ પહેલાં બનેલા જિલ્લા પંચાયતનું આ મકાન અત્યારે જર્જિરત દશામાં છે. પોપડા પણ ઉખડી ગયા છે અને તિરાડો પણ પડી છે પરંતુ જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ લુલો બચાવ કરી રહ્યા છે અને કર્મચારીઓ સુરક્ષિત હોવાનો દાવો પણ કરી રહ્યા છે.