કુદરતી સૌદર્ય અને નર્મદા ડેમના કારણે જાણીતું કેવડિયા હાલ વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાના કારણે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. લોકાર્પણના 13 દિવસમાં દેશભરમાંથી આવેલાં દોઢ લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી ચૂક્યા છે. પરંતુ તંત્રના આયોજનના અભાવે સ્ટેચ્યુ નિહાળવા આવતા પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટેલ અને ગેસ્ટ હાઉસનો સદંતર અભાવ છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા માટે લોકોએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવુ પડે છે. 3 હજાર કરોડના ખર્ચે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની 370 રૂપિયા ટિકિટ ભર્યા પછી પણ પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
નાસ્તા તથા ભોજન માટેની સુવિધાઓ ઓછી જણાઇ રહી છે. ફૂડ કોર્ટમાં મોંઘા ભાવે વસ્તુઓ ખરીદવા છતાં પ્રવાસીઓના ધસારાના કારણે બપોર સુધીમાં ખાણીપીણીની વસ્તુઓ ખૂટી જતી હોય છે. ફૂડ કોર્ટ સિવાય કોઇ જગ્યાએ ખાણીપીણીની વસ્તુઓ મળતી નથી. જેના કારણે પ્રવાસીઓને ભૂખ્યા પેટે રહેવાની ફરજ પડે છે.