ચાણસ્મા
યાત્રાધામ બહુચરાજીમાં દિવાળીના તહેવારો નજીક આવતાં બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જામી રહી છે. ત્યારે બજારમાં ટ્રાફિક સર્જતી આડેધડ ઉભી રખાતી બારીઓ તેમજ વાહનો સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસ દ્વારા વેપારીઓનો માલસામાન ઉઠાવી જવાનું શરૂ કરાતાં વેપારીઓમાં પોલીસની આ દાદાગીરી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ બાબતે બહુચરાજી વેપારી એસોસિએશનના ઈન્ચાર્જ પ્રમુખ ચંપકલાલ શાહે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, છેલ્લા દોઢ મહિનાથી બજારો સાવ ઠપ્પ થઈ ગયા હતા. હવે દિવાળીની ઘરાકી નીકળતાં વેપાર - ધંધામાં તેજીમાં આવતાં વેપારીઓને થોડી હળવાશ થઈ છે. બજારમાં લોકોની ખરીદી માટે ભીડ જામી રહી છે. આવા સમયે પોલીસ દ્વારા દુકાનની આગળ ગ્રામ પંચાયતે સૂચિત કરેલી બે ફૂટની જગ્યામાં મુકેલો સામાન પોલીસ દાદાગીરી કરીને ઉઠાવી લઈ જવાય છે. એટલું જ નહીં વેપારીઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે.
સ્થાનિક વેપારીઓએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું કે, બજારમાં શાકભાજી, રમકડાં, કપડાં સહિતની લારીઓ આડેધડ ઉભી રખાય છે અને ભારે વાહનો બજારમાં ઘૂસી જાય છે જેના કારણે બજારમાં ટ્રાફિક સર્જાય છે. જેની સામે કાર્યવાહી કરવાના બદલે પોલીસ માત્ર દુકાનદારોને જ ટાર્ગેટ બનાવી માલસામાન ઉઠાવી જતાં વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે. ત્યારે ‘પડતા ઉપર પાટુ’ માર્યા જેવી Âસ્થતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ ટ્રાફિક બસ સ્ટેન્ડથી બજારમાં આવવાના પ્રવેશદ્વાર આગળ તેમજ શંખલપુર રોડ પર પોસ્ટ ઓફિસની પાછળ આડેધડ ઉભા રહેતા પેસેન્જર વાહનોને કારણે સર્જાય છે, જા કે, પોલીસને નિયમિત હપ્તા મળતા હોઈ આવા વાહનો સામે કાર્યવાહી કરવાને બદલે ‘નબળો ધણી બૈરી પર સૂરો’ ના ન્યાયે વેપારીઓને કનડગત કરાઈ રહી છે, જે અંગે ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરાઈ છે.