રાજકોટ: શહેરમાં વિશ્વકક્ષાનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. રૂપિયા 26 કરોડના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિયમમાં ગાંધીજીની સ્મૃતિને જીવંત કરવાનો દાવો કરાયો છે. તેમજ કરોડોના ખર્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવનાર છે. પરંતુ આશ્ચર્યજનક વાત છે કે આ કાર્યક્રમ માટે જેના નામે આ સમગ્ર કાર્યક્રમ કરાયો છે તેવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કોઈ વારસદારોને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી ! અને ગાંધીજીના પ્રપૌત્ર એવા તુષારભાઈ ગાંધી સહિત બાપુના વારસદારોને ભાજપના શાસકો ભૂલી ગયા છે.
આ અંગે તુષારભાઈએ ભારે દુઃખ અને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે મને સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ આમંત્રણ અપાયું નથી. લોકાર્પણના આમંત્રણની વાત તો દૂર રહી, મ્યુઝિયમ કેવું બન્યું છે તેની જાણકારી પણ વહીવટીતંત્ર કે ભાજપના કોઈ નેતાઓએ આપી નથી. મારા માટે સૌથી વધુ દુઃખની બાબત તો એ છે કે, બાપુએ જ્યાં શિક્ષણ મેળવ્યું તે શાળાનું નામોનિશાન મિટાવી દેવાયું છે. બાપુની શાળા બંધ કરી તેમના મૂલ્યોની જાળવણીનો ઉલાળીયો કરાયો છે. ખરેખર તો આ શાળા ચાલુ રાખવાની અને તેમાં વધુને વધુ વિધાર્થીઓને ગાંધીગીરીનું જ્ઞાન આપવાની જરૂર હોવાનું પણ તેમણે કહ્યું હતું.