થરાદ તાલુકાના ચાંગડા ગામના ખેડુત ભાઇઓ નાગજીભાઇ ભેરાજી કરડ અને દાંનાભાઇ બંન્ને સાથે રહે છે.ગુરૂવારની સાંજના સાડા આઠેક વાગ્યાના સુમારે અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદના કારણે દાંનાભાઇ તેમના ઢાળીયાના પાછળના ભાગે લીમડાના ઝાડ નીચે બાંધેલ ભેંસોને સલામત સ્થળે ખસેડવા માટે બદલવાનું કામ કરતા હતા. દરમ્યાન અચાનક આકાશી વિજળી લિમડા પર પડી હતી.જેના કારણે લીમડાના ડાળખાં ભાગી જવા પામ્યાં હતાં.
જોકે થોડીવાર પછી પણ દાંનાભાઇ પરત નહી આવતાં તેમના પિતરાઇ સેનાભાઇ અને મગનભાઇ ત્યાં ગયા હતા. દરમ્યાન દાંનાભાઇ ઉ.વ.૩૦ ભેંસોની ગમાણમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.સાથે સાથે તેમની અઢી વર્ષની બે ભેંસોના પણ મૃત્ય થવા પામ્યાં હતાં.આથી તેમના મૃતદેહને ખાનગી વાહનમાં પી.એમ. અર્થે શહેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો.પોલીસે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવને લઇને થરાદ પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.બીજી બાજુ ચાંગડાના મોટાભાઇ નાગજીભાઇની દિકરી સુખીબેન લગ્નનો પ્રસંગ ચાલતો હતો.ઘરમાં તેની જાન ગુરૂવારે આવેલી હતી. જે નિમિત્તે રાવણું હોઇ તેમના પરિવાર અને સ્નેહીજનો પણ બહોળી સંખ્યામાં તેમના ઘરે ઉપસ્થિત હતાં.જ્યારે શુક્રવારે ભત્રીજી સુખીબેનને પરાયા ઘેર મોકલવાની વિદાય આપવાની હતી.તે પુર્વે ગુરુવારની સાંજે કાકા સાથે કુદરતે ક્રુર રમત રમતાં માહોલમાં ભારે કરુણતા પ્રસરી જવા પામી હતી.