યુરોપીયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર પ્રવાહી (તરલ) સ્થિતિમાં પાણી હોવાના પુરાવા મળ્યા છે. અનુમાન છે કે આ તળાવ દક્ષિણ ધ્રુવ પર લગભગ 20 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જોકે, આ પાણી બરફની એક કિલોમીટર મોટી ચટ્ટાનની નીચે હોઇ શકે છે. યુરોપીય સ્પેસ એજન્સીના માર્સ એક્સપ્રેસ ઓર્બિટરે આ જાણકારી આપી છે. મંગળ પર પાણીની હાજરી તો પહેલા પણ સાબિત થઇ હતી, પરંતુ આખું તળાવ હોવાના પુરાવા પહેલીવાર મળ્યા છે.
ઓર્બિટરે મોકલેલા આંકડાઓનો ઇટલીના વૈજ્ઞાનિકોએ ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમણે જાણ્યું કે રડાર દ્વારા મોકલેલા તરંગો બરફને તો પાર કરી જ રહ્યા હતા, પરંતુ દક્ષિણી ધ્રુવની પાસે જઇને પાછા ફરતા હતા. તેના કારણે ત્યાં પાણીનું જળાશય હોવાની સંભાવનાઓ વધી ગઇ છે.
યુકેની ધ ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર મનીષ પટેલે બીબીસીને જણાવ્યું કે દુનિયાના લોકો ઘણા સમયથી મંગળ ગ્રહ અને તેમાં જીવસૃષ્ટિ શક્ય ન હોવાની પરિસ્થિતિઓ વિશે જાણે છે. પરંતુ પાણી મળવાથી હવે ગ્રહ પર જીવન હોવાની સંભાવના ચકાસી શકાય એમ છે.
જોકે, તેમણે પાણીની હાજરી અને જીવસૃષ્ટિ વચ્ચે કોઇ સંબંધ જણાવ્યો નથી.