ભાભર તાલુકાના સનેસડા અને હાલ વાવના સેડવ ગામે રહેતા ખેડૂતે પાલનપુર સ્થિત કલેકટર કચેરી ખાતે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે, દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
મૂળ ભાભર તાલુકાના સનેસડા અને હાલ વાવના સેડવ ગામે રહેતા ખેડૂત અમથુજી કરમશીજી ઠાકોરે ગતરોજ કલેકટર કચેરીના કેમ્પસમાં પોતાની સાથે લાવેલી બોટલમાં રહેલું જ્વલનશીલ પ્રવાહી પોતાની ઉપર નાંખી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો.જેના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, તેઓ પોતાના શરીરે આગ ચાંપે તે પહેલાં દોડી આવેલી પોલીસે તેનો આ પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોતાનુ નામ ખેતીની જમીનમાંથી નીકળી જતાં આ પગલું ભર્યુ હોવાનું જણાવતાં ખેડૂતને પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે અન્ય કર્મચારીઓ તેમજ કચેરીના કામકાજે આવેલા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. અને ભારે ઉત્તેજના પ્રસરી ગઈ હતી.