રખેવાળ ન્યુઝ પાલનપુર : ભગવા સ્વયંસેવક સંઘ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને પાલનપુર નગર પાલિકાના માજી નગરસેવક પ્રખર હિન્દુત્વવાદી યુવા નેતાને સી.એ.બી બિલના સમર્થન મામલે ટેલિફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે પોલીસને લેખિત જાણ કરી પોલીસ રક્ષણની પણ માંગ કરાઈ છે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા સી.એ.બી/ એન. આર.સી બિલના સમર્થનમાં પાલનપુરમાં હિન્દૂ તથા રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા વિવિધ સંગઠનો દ્વારા વિશાળ રેલી યોજી કૃતજ્ઞતા પત્રો આપીને સમર્થન આપવામાં આવ્યું હતું. જેમાં હિન્દુત્વનો ઝંડો લઈને ફરવા બદલ હિન્દૂવાદી યુવા નેતા અશોક પુરોહિતની હાલત કમલેશ તિવારી જેવી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા મામલો ગરમાયો છે.
પાલનપુરમાં રહેતા અને ભગવા સ્વયં સેવક સંઘના ગુજરાતના પ્રમુખ અશોક ભાઇ પુરોહિત દ્વારા પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને લેખિતમાં રજૂઆત કરાઈ છે. જેમાં જણાવ્યું હતું કે, તેમના મોબાઈલ પર રાત્રે ફોન પર કોઇ અજાણ્યા નંબરથી કોલ આવેલ અને તેમના પરિવાર તેમજ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેઓએ સરકારના સીએબી એનઆરસી સમર્થનમાં આવેદનપત્ર આપેલ તેને લઈને તેઓને કહેલ કે, હિન્દુત્વનો ઝંડો ઉપાડી ફરો છો. તો સમજી લેજો કે કમલેશ તિવારી જેવી હાલત કરીને મૂકી દઇશું. દરમિયાન, અશોકભાઈએ થાય તે કરી લેજો તેમ કહેતા સામેથી વાત કરી રહેલા વ્યક્તિ એ તેઓને કિર્તિસ્તંભ બોલાવેલ પરંતુ તેઓ ગયા ન હતા. અને તેઓએ ઉપરોક્ત મુજબની લેખિત ફરિયાદ આપી પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા માટે માંગ કરી છે. ત્યારે સિમલાગેટ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ મોગલદાને વધુ તપાસ હાથ ધરી છે.