પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની તેના જ પતિએ તિક્ષાણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. ઘરકંકાશને લઈને આ હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે. હત્યા કરનાર આરોપી પતિને પોલીસે ઝડપી પાડ્યો છે.પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓ કયારેક હત્યા સુધી પહોંચી જતા હોય છે. આવો જ એક કિસ્સો પોરબંદરનાં ઝુંડાળા વિસ્તારમાં સામે આવ્યો છે. ઝુંડાળા શેરી નંબર ૯માં રહેતી જયશ્રીબેન નિલેષભાઈ ઓડેદરા નામની ૪૨ વર્ષની મહિલાનું તેના જ પતિ નિલેષ ઓડેદરાએ હત્યા કરી હોવાનું બહાર આવ્યુ છે. આજે વહેલી સવારે પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડો ઉગ્ર બનતા નિલેષએ ઘરમાં પડેલી છરીનો ઘા જયશ્રીને ઝીંજીકી દેતા તે ત્યાં જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડી હતી. અને તેનું મોત થયુ હતુ.આમ જયશ્રીબેન માટે છરીનો એક ઘા જ પ્રાણઘાતક નિવડયો હતો. પત્નીની હત્યા કર્યા બાદ તે બે કલાક સુધી ઘરમાં રહ્યો હતો અને ત્યારબાદ શેરીમાં જઈ અને બેસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ, સીટી ડીવાયએસપી જેસી કોઠીયા અને કમલાબાગના પી.આઈ એસ.એમ.જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહને પી.એમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.પોલીસ દ્વારા મૃતક મહિલાના પતિ નિલેષની શંકાના આધારે અટક કરવામાં આવી હતી અને તેની આકરી પુછપરછ કરવામાં આવતા તેને જ પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં વહેલી સવારે મહિલાની હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે ચચચાર જાગી છે. પત્નીની હત્યા કરનાર નિલેષ અને પત્ની જયશ્રી બન્ને દારુ પીવાની લત ધરાવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. ઘણા લાંબા સમયથી બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ અંતે આ મનદુઃખ લોહીયાળ બન્યુ હતુ.