અંબાજી : અંબાજી મંદિર ટ્રસ્ટમાં એક શ્રદ્ધાળુ દ્વારા અમુલ ઘીનો ૧૫ કિલોનો ડબ્બો પ્રસાદ પૂજાપા માટે ભેટ અર્પણ કરાયો હતો.પણ આ અમુલ બ્રાન્ડનો ઘીનો ડબ્બો બનાવટી હોવાની શંકાને લઈ પાલનપુર ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગને બનાવટી ઘી વેચતા હોવાની ફરિયાદ કરાઈ હતી. જેને લઈ ફ્રુડ સેફ્ટી વિભાગના અધિકારી તાબડતોબ અંબાજી મંદિર ખાતે પહોંચી સિલ પેક અમુલ બ્રાન્ડના ૧૫કીલો ઘીના ડબ્બાને ખોલી સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આ સેમ્પલ લઈ હાલ બરોડા ખાતે એફએસએલમાં લેબોટ્રી અર્થે મોકલવામાં આવશે તેમ અધિકરીએ જણાવ્યું હતું. જોકે,આ અમુલ બ્રાન્ડ ઘીનો ડબ્બો મંદિર નજીક આવેલી ગણપતિ ટ્રેડર્સ નામની દુકાનમાંથી ખરીધ્યા હોવાનું માલુમ પડતા તે દુકાનદારને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.જોકે આ વેપારીએ જણાવ્યું હતું કે અંબાજીના ગુજરાત ટ્રેડિંગ નામના વેપારી આ અમુલ ઘીનો ડીલર છે ને અમે તેની પાસેથી લાવીને વેચાણ કરીયે છીએ. જોકે આ બાબતે પાકા બિલ પણ ન અપાતા હોવાની હકીકત સામે આવી હતી જેને લઈ અંબાજીના બજારમાં બનાવટી ઘી જેવી વસ્તુ જ નહી પણ જીએસટી જેવા સરકારી ટેક્સની ચોરી થતા હોવાની બાબતનો ઘટસ્ફોટ થયો છે. જો કે, હાલમાં દિવાળીના તહેવારો માથે આવી રહ્યા છે ત્યારે એક તરફ મોંઘવારી અને બીજી તરફ આવી બનાવટી ચીજવસ્તુઓ અને તે પણ અસલીનો ભાવ લેવાતો હોવાથી લોકોને આર્થિક પરિસ્થિતિ અને સ્વાસ્થ્ય બને સાથે ચેડાં કરાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં ફૂડ એન્ડ ડ્રગ તથા આરોગ્ય વિભાગ આવા ખાદ્ય સામગ્રી સામે લાલ આંખ કરે તે આજના સમયની માંગ જણાઇ રહી છે.