દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર શુક્રવારે મોટો અકસ્માત થયો છે. અહીં સેલ્ફી લઇ રહેલા બે યુવાનો પુલ પરથી નીચે પડી જતા તેમનું મૃત્યુ થયું છે. જણાવાઇ રહ્યું છે કે બંને યુવાનો બાઈક પર સવાર હતા અને તેમની બાઈક ડિવાઇડરથી અથડાઈ હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. બંને યુવાનો સેલ્ફી લેતા દરમિયાન પુલ પરથી નીચે માટી પર જઇને પડ્યા હતા. ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ચૂકી છે અને આ કેસની તપાસ ચાલુ છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલની ખાસિયત જ સૌથી ઉંચી સેલ્ફી પોઇન્ટ છે. જે દિવસથી પુલ આમ જનતા માટે ખુલ્લો મુકાયો હતો, ત્યાર પછીથી જ સામાન્ય લોકોનું ત્યાં આવીને સેલ્ફી લેવું વહિવટી તંત્ર માટે પડકાર રૂપ બની રહ્યું હતું. આ બ્રિજ પર ૧૫૪ મીટરની ઉંચાઇના ગ્લાસ બોકસ પણ છે, જે પ્રવાસન સ્થળ તરીકે લોકોને શહેરનો 'બર્ડ્સ આઈ વ્યૂ' આપે છે. ઙ્ગઉલ્લેખનીય છે કે સિગ્નેચર બ્રિજ ઉદ્ઘાટન દરમિયાનથી જ વિવાદોમાં રહ્યો છે. તેના ઉદ્ઘાટન દરમિયાન ભાજપના સાંસદ મનોજ તિવારી અને આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વચ્ચે થયેલા વિવાદથી તેઓ પણ ચર્ચામાં રહ્યા હતા.