પાલનપુર : પાલનપુર શહેરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ નગર પાલિકાની પીવાના પાણીની ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પીવાના પાણીનો બગાડ થતા આંબાવાડી વિસ્તારના લોકો મુશ્કેલી માં મુકાયા હતા.
પાલનપુર શહેરમાં અનેક વિસ્તારો પીવાના પાણીની વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. લોકો પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે બીજી બાજુ નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો સરેઆમ બગાડ થઇ રહ્યો છે.
દરમિયાન, ગત વહેલી સવારે શહેરના ગણેશપુરા વિસ્તારની પ્રાથમિક શાળા સામે આવેલ પાણીના ટાંકાને ભરવામાં આવી રહ્યું હતું જેમાં ટાંકુ ભરાયા બાદ પણ પાણીની સપ્લાય બંધ કરવામાં ના આવતા પાણીનું ટાંકું ઓવરફ્લો થતા કલાકો સુધી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો જેમાં પીવાનું પાણી આંબાવાડી વિસ્તારમાં ફરી વળતા અહીં પાણીની રેલમછેલ થઇ હતી જોકે સ્કુલ જવાના મુખ્યમાર્ગ ઉપર પાણી વહેતા અને પાણીનો ભરાવો થતા વિદ્યાર્થીઓ અને લોકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી જોકે પાલીકા દ્રારા આ પાણીનું ટાંકુ ભરવામાં દરકાર લેવામાં આવતી ના હોઈ અહિયા રોજ બે રોજ ટાંકું ઓવરફ્લો થતું હોઈ પીવાના પાણીનો બગાડ થાય છે જે અંગે સ્થાનિક નગર સેવકોને રજુઆત કરવા છતાં પણ કોઈ દરકાર લેવા માં ન આવતા લોકોમાં પાલિકા અને નગર સેવકોની બેદરકારી સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી.