જે લોકો જીવન વીમામાં રોકાણ કરે છે અને વિચારે છે કે જ્યારે તેઓ નહિ રહે ત્યાર બાદ તેમના પરિવારજનોને આ મૂડી મદદરૂપ થશે. તો એવા લોકોએ તેમના પ્રિયજનોને આ પોલિસી વિશે જરૂરીથી જાણ કરી દેવી જોઈએ અન્યથા તેઓ સૌથી ખરાબ સમયમાં તે રોકાણનો લાભ મેળવી શકશે નહીં.
સૂત્રો મુજબ હાજારો-લાખો લોકો સાથે આવું થયું છે. સંસદમાં તાજેતરમાં રજૂ કરેલ રિપોર્ટ મુજબ 23 વીમા કંપનીઓ પાસે લગભગ રૂ.15 હજાર કરોડ એવા પડ્યા છે જેના માટે કોઈ ક્લેમ નથી કરી રહ્યું. રિપોર્ટ મુજબ,LIC પાસે રૂ.10,509 કરોડ જ્યારે પ્રાઇવેટ વીમા કંપનીઓ પાસે રૂ.4,675 કરોડ છે. જોકે હવે સરકારે આવી દાવા વગરની રકમ(અનક્લેમ્ડ)ને તેના વારસદાર સુધી પહોંચાડવાની ઝુંબેશ હાથધરી છે.
સરકારે દરેક વીમા કંપનીઓને આદેશ આપ્યા છે કે તેઓ તેમની વેબસાઈટ પર અનક્લેમ્ડ એમાઉન્ટની માહિતી માટે એક અલગથી સેક્શન બનાવે અને ત્યાં તેની વિસ્તૃત જાણકારી આપે. ઉપરાંત સરકારે કંપનીઓને કહ્યું કે,વેબસાઇટ પર એક એવી સુવિધા આપવામાં આવે જે પ્રિયજનોને સંભાવિત વીમા કંપની પોલિસી તેના નંબર, આધાર નંબર, પાન કાર્ડ નંબર, મોબાઇલ નંબર અને જન્મ તારીખના મદદથી સર્ચ કરી શકે.
આ માટે સરકારે કંપનીઓને એક કમિટીની રચના પણ કરવાનું કહ્યું છે જે અસલ વારસદારો સુધી પહોંચવામાં મદદ કરી શકે.