રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર ઝેરી પદાર્થ ખાઈ જવાથી બે દિવસમાં ૧૭ ગાયના મોત નીપજ્યા છે. જેને લઈને જીવદયાપ્રેમીઓ રોષની લાગણી જોવા મળી હતી. પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઈટ પર રખડતા પશુઓનો અડીંગો જોવા મળે છે. ત્યારે ગત રાત્રે ચરવા ગયેલી ૧૦ જેટલી ગાયો ઝેરી પદાર્થ ખાઇ જતા મોતને ભેટી હતી. જયારે અન્ય ગાયો ને સારવાર અર્થે ખસેડાઇ હતી. જ્યાં આજે વધુ ૭ ગાય પણ સારવાર દરમિયાન મોતના મુખમાં ધકેલાઈ હતી. આમ, ૧૭ જેટલી ગાય ના મોતથી જીવદયાપ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. દરમિયાન, પોલીસે ગાયના મૃતદેહને પી.એમ. માટે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.