ટ્રાફિક નિયમનના નામે પોલીસની દબંગગિરી
પાલનપુરમાં મોડી સાંજે ૨૦થી વધુ વાહનોના ટાયરમાંથી હવા કઢાતાં રોષ
પાલનપુર
પાલનપુરમાં વકરતી જતી ટ્રાફિક ની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ નિવડેલી પોલીસ દ્વારા દબંગગીરી શરૂ કરવામાં હોવાની રાવ ઉઠી છે. દિવસભર ન ડોકાતી પોલીસે ગત મોડી સાંજે કિર્તિસ્તંભ વિસ્તારમાં રોડની સાઇડમાં પાર્ક કરેલા ૨૦થી વધુ વાહનોના ટાયરમાંથી હવા કાઢી નાંખતા ઘરે જવાના સમયે મુશ્કેલીમાં મુકાયેલા વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં શોપિંગ સેન્ટરોમાં વાહન પાર્ક કરવા માટે કોઇ સુવિધા નથી. નવા શોપિંગો પૈકી કેટલાકમાં ર્પાકિંગ માટે નાણાં પડાવવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વિકટ બનેલી ટ્રાફિક સમસ્યાને નાથવામાં નિષ્ફળ નિવડેલી પોલીસ દ્વારા રીતસરની દબંગગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં આખો દિવસ ટ્રાફિકજામ થાય ત્યારે દેખવા પણ આવતી પોલીસ સાંજના સુમારે હાથમાં ડંડા લઇને નીકળી પડે છે. અને વાહનોના ટાયરમાંથી હવા કાઢી રહી છે. ગુરૂવારે સાંજે શહેરના કિર્તિસ્તંભ વિસ્તારમાં રોડની સાઇડમાં પાર્ક કરેલા વાહનોની હવા કાઢી નાખી હતી. બીજી તરફ આ સમયે ટાયર પંકચરની દુકાનો પણ બંધ થઇ ગઇ હોવાથી ઘરે જવાના સમયે જ વાહન ચાલકો ભારે મુસ્કેલીમાં મુકાઇ જવા પામ્યા હતા.
પોલીસને ટ્રાફિક નિયમન કરવા માટે ટ્રાફિક નિયમો મુજબ મેમો કે વાહન ટોઇગ કરી શકે પણ પાલનપુરની પોલીસ તો હવા કાઢયા પછી ટ્યુબનો વાલ્વ પણ સાથે લઇ જતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી વાહન ચાલકોમાં પોલીસની આ દબંગગીરી સામે ભારે રોષ ફેલાયો હતો.