કમળ
મેક્સિકોનો એક નિર્જન સમુદ્રકિનારો…
ત્યાં એક માણસ ચાલી રહ્યો હતો. સમુદ્ર કિનારે ચાલતો-ચાલતો એક એવી જગ્યાએ પહોંચ્યો, જ્યાં માણસોનું ટોળું નહોતું. પણ એક એકલો માણસ ત્યાં દરિયા કિનારે બેઠો હતો અને બેઠો બેઠો સમુદ્રમાં કાંઇક નાખવાની ક્રિયા કરી રહ્યો હતો.
ચાલનારો માણસ બેઠેલા માણસની નજીક આવ્યો. એણે જાયું તો પેલો બેઠેલો માણસ દરિયા કિનારે આવેલી સ્ટારફિશ (માછલી) ને ઊંચકી ઊંચકીને દરિયામાં નાખી રહ્યો હતો.
આંગતુકે પૂછ્યું-શું કરે છે ?
પેલાએ કહ્યું-સ્ટારફિશને દરિયામાં નાખું છું. અત્યારે ઓટનો સમય છે દરિયામાંથી કિનારે આવી ગયેલી સ્ટારફિશને ફરી દરિયામાં પધારવી રહ્યો છું. જેથી એ મૃત્યુમાંથી બચી જાય અને જીવી જાય.
પણ તમે તો માત્ર અહીં જ બેઠા છો આખા દરિયા કિનારા ઉપર કેટલી બધી અગણિત સ્ટારફિશ રહેલી છે અહીં રહેલી સ્ટારફિશને તમે બચાવી લેશો. પણ બાકી રહેલી સ્ટારફિશનું શું ? એને કોણ બચાવવા જશે ? અને આટલી બધી સ્ટાર ફિશ તો એમની એમ રહી જશે. તો પછી અહીં રહેલી સ્ટારફિશ બચે કે ન બચે, શું ફરક પડવાનો દરિયાને ? આગંતુકે પોતાની બુદ્વિ ચલાવતાં કહ્યું.
ત્યાં બેઠેલો દયાળુ જીવ તો ભગવાન મહાવીરની કરુણાને પામેલો જીવ હતો. ભવાંતરમાં એ ભગવાનને અથવા તો ભગવાનના સાધુને જરૂર સ્પર્શ્યો હશે.! ભગવાનની વાણી કોઇના પણ માધ્યમે તેણે જરૂર શ્રવણ કરી જ હશે !
તે તો આંગતુકને વાત સંભળાવતી વખતે ય સ્ટાર ફિશને ઊંચકી-ઊંચકીને દરિયામાં નાખવામાં વ્યસ્ત હતો અને એ રીતે જીવોને બચાવાના કાર્યમાં મશગૂલ હતો.
આગંતુકની વાત પૂરી થઇ તે વખતે ય તેણે પોતાના હાથમાં રહેલી સ્ટાર ફિશને દરિયામાં પધારવી અને બોલ્યો-બીજાને ફરક પડે કે ન પડે, પણ આને તો ફરક પડશે ને ! કેટલી ખુશ થઇ ગઇ હશે. આ માછલી ! જીવ બચ્યાનો આનંદ કોને ન હોય !
'સવ્વે જીવા વિ ઇચ્છતિ જીવિંક ન મરિજ્જિઉં, સંસારના તમામે તમામ જીવો જીવવા માટે ઇચ્છે છે મારવા માટે નહી, આચાર્ય શય્યંભવસૂરીશ્વરજી મહારાજ સાહેબના આ શબ્દો ભલે એણે નહી સાંભળ્યા હોય. પણ એ શબ્દોના ભાવને તો તે પામી જ ચૂક્યો હતો.ર્
આભાર – નિહારીકા રવિયા