કંથરાવીના રામજી મંદિરમાંથી મહંતની ગેરહાજરીમાં લાખોની માલમત્તા લઈ સાધુ રફૂચક્કર
ઉંઝા
ઉંઝા તાલુકાના કંથરાવી ગામે રામજી મંદિરમાં આવેલ એક સાધુ મંદિરના મહંતની ગેરહાજરીનો લાભ ઉઠાવી સોના ચાંદીના કિંમતી દાગીના, આભૂષણો, ચેક, રોકડ રકમ તથા અન્ય માલ સામાન મળી લાખો રૂપિયાની કિંમતની મત્તા લઈને ક્યાંક ફરાર થઈ ગયો હોવાનો બનાવ બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર જાગી છે.
વિગત એવી છે કે, ઉંઝા તાલુકાના કંથરાવી ગામે રામજી મંદિર આવેલ છે આ મંદિરમાં તાજેતરમાં સાધુ રાધવ પાઠક નામના કોઈ સાધુ આવ્યા હતા. જેઓ મંદિરના મહંતની ગેરહાજરીમાં તકનો લાભ ઉઠાવી ધોળા દિવસે મંદિરમાંથી સોના ચાંદીના દાગીના, આભૂષણો, ચેક, રોકડ રકમ તથા અન્ય માલમત્તા મળી લાખો રૂપિયાની કિંમતની મત્તાકની ઉઠાંતરી કરીને ક્યાંક પલાયન થઈ ગયા હતા.
આ બનાવ અંગે કંથરાવીના કેટલાક શ્રધ્ધાળુઓ અને મંદિરના મહંત ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ કોણ જાણે કેમ તુરત ફરીયાદ નોંધાઈ ન હતી. અને બનાવ બન્યાના ત્રીજા દિવસે મંદિરના મહંત શંકરદાસ લક્ષ્મણદાસની ફરિયાદના આધારે ઉનાવા પોલીસે સામરાધ વિશ્વાસધારી અને ઠગાઈનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમાં આરોપી સાધુ રાધવ પાઠકનું સરનામું દર્શાવેલ નથી કહે છે કે કંથરાવી રામજી મંદિરમાંથી અંદાજે છ લાખની કિંમતની મત્તા સાધુ લઈને ફરાર થઈ ગયેલ છે. જ્યારે ફરિયાદમાં ૩,પપ,૦૦૦ ની મત્તાનો ઉલ્લેખ થયો છે.