ધાનેરા લોકસભાની ચૂંટણીમાં સરકાર સુરક્ષા સાથે ડીજીટલનો ઢોલ પીટી રહી છે પરંતુ ધાનેરા તાલુકાની સરકારી કચેરીઓ જ સલામત નથી. તેમાં પણ પ્રાંત કચેરીના બારી - બારણાં તુટેલ હોઈ દરવાજા સાંકળથી બાંધવા પડે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર સલામતી અને ગતિશિલ ગુજરાતના ગાણાં ગાય છે. પરંતુ ભાજપના શાસનમાં વિકાસની આડમાં ભ્રષ્ટાચાર અને અમલદાર શાહીએ માઝા મુકી છે. તેના વધુ એક પુરાવા રૂપ ધાનેરામાં લાખો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી કચેરીઓના બાંધકામમાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરાયો છે. અગાઉ જન સેવા કેન્દ્ર અને પ્રાંત કચેરીના રહેણાંક ક્વાર્ટસની ટાઈલ્સો બેસી ગઈ હતી.મામલતદાર કચેરી પણ બિસ્માર છે. તેમાં પણ પ્રાંત કચેરીના તો બારી બારણા તુટી ગયેલ છે. જેથી ઝેરી જનાવર ઘુસી જવાની દહેશત વચ્ચે ચુંટણીના સમયે પણ અગત્યના દસ્તાવેજા અને કાગળોની સલામતી માટે પ્રાંત કચેરીના દરવાજા સાંકળથી બાંધવા પડે છે. આ સરકારી કચેરીઓના સમારકામ માટે સરકારના જ પી.ડબ્યુ.ડી. વિભાગને વારંવાર રજૂઆતો કરાય છે પરંતુ તેમની વ્યાજબી રજુઆત પણ કાને ધરાતી નથી. તો પછી આમ પ્રજાની તો શી વિસાત !