અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 18મો દિવસ છે. હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ હાર્દિક પટેલ ફરીથી 3 માગંણીઓ સાથે ગ્રીનવુડ ખાતે ઉપવાસ પર બેઠો છે. હાર્દિક પટેલને સમર્થન આપવા માટે અમદાવાદના હીરાવાડીમાં મોડી રાત્રે પાટીદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાટીદારોએ‘જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. સાથે જ ઉશ્કેરાયેલા પાટીદારોએ AMTS બસના કાચ તોડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને પાટીદારોની અટકાયત કરી હતી. અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.
પાટીદાર અનામત આંદોલન અને ખેડૂતોની દેવામાફીના મુદ્દે હાર્દિક પટેલ છેલ્લા 17 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેસેલો છે. હાર્દિકના પરિવાર અને તેના સાથીદારો સાથે પોલીસના ઘર્ષણને લઈ અમદાવાદના પાટીદારો ઉશ્કેરાયા હતા. મોડી રાત્રે બાપુનગર, નિકોલના પાટીદાર વિસ્તારોમાં મહિલાઓ થાળી-વેલણ સાથે રસ્તા પર ઉતરી આવી હતી અને રોડ પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.