ભાજપ શાસિત નગરપાલિકાના રાજમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો "સૌનો સાથ સૌનો વિકાસ"ના નારાનો છેદ ઉડાડી "સૌનો સાથ- સ્વ નો વિકાસ" નો નારો બુલંદ બન્યો હોવાની બુમરાણ મચી છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ના રાજમાં એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. સાથી સભ્યોના સથવારે સત્તા હસ્તગત કર્યા બાદ શાશકો દ્વારા સૌને સાથે લઈને ચાલવાને બદલે "એકલો જાને રે" ની નીતિ અખત્યાર કરાતી હોવાની રાવ ઉઠી છે. પાલિકા પ્રમુખ તેમના મળતીયા અધિકારીઓ સાથે મળીને કોઈ પણ સભ્યોને કે સંગઠનને વિશ્વાસમાં લીધા વિના વહીવટ કરી રહ્યા છે. જોકે, અગાઉના પાલિકા પ્રમુખોના વહીવટ સમયે સળીઓ કરનારા પણ અત્યારે ચુપકીદી સેવી રહ્યા છે. મોટાભાગના સભ્યો પોતાનું ઉપજતું ન હોઈ કે તેઓનો ભાવ પુછાતો ન હોઈ પાલિકામાં આવવાનું પણ ટાળી રહ્યા છે.
પાલિકાના કાર્યક્રમો ટાણે પણ જવાબદાર પદાધિકારી ઓને યથાયોગ્ય માન-સન્માન મળતું ન હોવાની લાગણી જોર પકડી રહી છે. ત્યારે શાશકપક્ષના નગરસેવકોનો છૂપો અસંતોષ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે પડે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.