ધાનેરા : ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામની પ્રાથમિક શાળાનાં વિવાદાસ્પદ મહિલા આચાર્યને તાલુકા પંચાયત ખાતે ફરજ પર મુકાતાં મામલો માંડ થાળે પડ્યો છે અને આજે શાળાનાં તાળા પણ ખુલી ગયાં છે. ધાનેરા તાલુકાના કોટડા ધાખા ગામે ચાર દિવસ પછી વિવાદ શાંત થયો છે અને આવતી કાલથી બાળકોને મોકલી શૈક્ષણિક કાર્ય ચાલુ કરાવવા ગ્રામજનો સહમત થયા છે. કોટડા ધાખા ગામની પ્રાથમિક શાળા ચાર દિવસથી બંધ હતી. ગ્રામજનો શાળાના મહિલા આચાર્ય બહ કામ તેમજ શિક્ષણની બદલીની માંગ સાથે ગત સોમવારથી શાળાના મુખ્ય દરવાજે તાળું મારી દઈ વિરોધ પ્રદર્શન પર ઉતરી આવતા ધાનેરા ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી પરંતુ ગ્રામજની ટસના મસ થયા નહોતા. જેથી બીજા દિવસે ધાનેરાણા તાલુકા વિકાસ અધિકારીએ કોટડા ગામે દોડી જઇ ગ્રામજનો સાથે બેઠક કરી હતી તેમ છતાં શાળા ચાલુ કરવા ગ્રામજનો સહમત થયા નહોતા જેથી આજે ચોથા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના મુજબ લાખણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શિહોરીના મહિલા બીટ કેળવણી નિરીક્ષકે ટીમ સાથે કોટડા શાળામાં પહોંચી યોગ્ય તપાસની ખાતરી આપતા આજે ગ્રામજનો શાંત પડ્યા હતા અને શાળાનું તાળું ખુલ્યું હતું. તપાસ અધિકારીએ પણ આવતી કાલથી શાળા શરૂ કરી બાળકોને નિયમિત શિક્ષણ મળશે તેવી ખાતરી આપી હતી.
કોટડા ધાખા શાળામાં ધસી આવેલા તપાસ અધિકારીઓએ મહિલા આચાર્ય વિરુદ્ધ અરજી કરનાર તમામ ગ્રામજનો તેમજ એસએમસીના સભ્યો સાથે બેઠક યોજી ૧૩ જેટલા મુદ્દાની છણાવટ કરી હાલ પૂરતા આચાર્ય બહેનને તાલુકા પંચાયત કચેરીના શિક્ષણ વિભાગમાં ફરજ પર મુકતા ગ્રામજનોએ શાળા ચાલુ કરવાની ખાતરી આપી હતી. ચાર દિવસની તપાસ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારીના નિર્ણયથી શાળા આજે ચાલુ થઈ હતી. કોટડા ધાખા ગામના લોકોએ આચાર્ય વિરુદ્ધ દોઢ માસ અગાઈ અરજી કરવા છતાં કોઈ જવાબ ના મળતા આખરે શાળાને તાળાબંધી કરાઈ હતી અને આ નિર્ણયના પગલે સતત ચાર દિવસ સુધી શાળાના ૨૭૨ બાળકોનું શિક્ષણ પણ બગડ્યું હતું.જો ધાનેરા શિક્ષણ વિભાગે ગ્રામજનોની અરજીને ગંભીરતાથી લઈ સમયસર કાર્યવાહી કરી હોત તો ચાર દિવસ સુધી આ શાળા બંધ ના રહેત.આજે આચાર્ય બેનને હાલ પૂરતા કોટડા ધાખા શાળામાંથી ખસેડાતા આવતી કાલથી ગ્રામજનો તેમના બાળકોને શાળાએ મુકવા સહમત થતા વિવાદનો અંત આવ્યો છે.