બોલપુર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા હતા. મમતા બેનર્જીના ગઢમાં આયોજિત રેલીમાં મોદીએ ફરીવાર સ્પીડ બ્રેકર દીદીનો ઉલ્લેખ કરીને આકરા પ્રહાર કર્યા હતા. સાથે સાથે આ ચૂંટણીમાં તેમના શાસનના ખાત્માની પણ જાહેરાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં વીરભૂમ જિલ્લાના બોલપુરમાં એક ચૂંટણી રેલીને મોદી સંબોધી રહ્યા હતા. આરેલીમાં મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સૂર્યાસ્તની શરૂઆત થઇ ચુકી છે. મતદાનના પ્રથમ ત્રણ તબક્કાથી આ બાબત સ્પષ્ટ થઇ ચુકી છે. મોદીએ નારો આપતા કહ્યું હતું કે, બંગાળમાં દરેક લોકો કહી રહ્યા છે કે, સિÂન્ડકેટનું સિંહાસન હચમચી ઉઠ્યું છે. દીદીને સમજાઈ ગયું છે કે તેઓ જેટલી મુશ્કેલી ઉભી કરશે તેટલો જ ફાયદો ભાજપને વધારે થશે. રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, ગુરુદેવે કલ્પના પણ કરી નહીં હશે કે બંગાળમાં એક દિવસે લોકોને પોતાના અધિકાર માટે ભીખ માંગવાની જરૂર પડશે. ટીએમસીના ગુંડાઓ ગુરુદેવના શાંતિ નિકેતનની શાંતિને ભંગ કરી રહ્યા છે. પોતાના ઉપર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના આક્ષેપનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, મમતા દીદી કહે છે કે, ચા વાળાએ પાંચ વર્ષમાં માત્ર વિદેશ યાત્રા જ કરી છે પરંતુ તેઓ કહેવા માંગે છે કે આજે દુનિયામાં ભારતનો દમ દેખાઈ છે.