રાજસ્થાનના પાલીમાં જૈન સંત રૂપમુનિના અંતિમ સંસ્કાર દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો એકઠા થયા હતા. તેમને ભીની આંખે વિદાય આપી. સૌથી મોટી વાત એ રહી કે અંતિમ સંસ્કાર દરમિયાન સંતના પાર્થિવ શરીરને કાંધ આપવાથી લઈને મુખાગ્નિ સુધી માટે ભક્તોએ કરોડોની બોલી લગાવી. આ દરમિયાન અંદાજે 8 કરોડ રૂપિયાની બોલી લાગી. એક ભક્તે સૌથી વધારે 1.94 કરોડ રૂપિયાની બોલી લગાવી સંતને મુખાગ્નિ આપી.
રવિવારે બપોરે એક વાગ્યે સંત સુકનમુનિ અને અમૃતમુનિની દેખરેખમાં સંત રૂપમુનિના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, 90 વર્ષીય શ્વેતાંબર જૈન સંત રૂપમુનિએ શુક્રવારે મોડી રાતે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. તબિયત નરમ હોવાના કારણે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
રાજસ્થાનના નાડોલમાં જન્મેલા રૂપમુનિ માત્ર 14 વર્ષની ઉંમરે જોધપુરના મરુધર કેસરી પ્રવર્તક મિશ્રીમલ મહારાજના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી હતી. રાજસ્થાનમાં ગોસંરક્ષણ માટે ઘણું કામ કર્યું હતું. સમાજના તમામ વર્ગો વચ્ચે તેમણે સન્માન મેળવ્યું હતું. આ કારણ જ રહ્યું કે તેમની અંતિમ યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી. ઠેરઠેર ગુલાલ ઉડાડવામાં આવ્યા હતા.
રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે, 'રૂપમુનિ મહારાજે ભગવાન મહાવીરના સત્ય અને અહિંસાના સંદેશને જન-જન સુધી પહોંચાડવાની સાથે હોસ્પિટલો અને ધર્મશાળાનું નિર્માણ કરાવ્યું. સામાજિક દુષ્ટ અને કુરીતિઓને દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી.'
ઉલ્લેખનીય છે કે, જૈન સમુદાય તેમના સંતની અંતિમ વિદાયને મોટો પ્રસંગ માને છે. કદાચ આ કારણે જ મોટા સંતોના અંતિમ સંસ્કારમાં મોટી બોલી લગાવાય છે. વર્ષ 2016માં મુંબઈમાં સંત પેમસૂરજીસ્વામીના અંતિમ સંસ્કાર માટે 11 કરોડની બોલી લગાવાઈ હતી. આ પહેલા મધ્ય પ્રદેશમાં જૈન સમુદાયના સંત મદવિજયના અંતિમ સંસ્કારમાં 7 કરોડ રૂપિયાની બોલી લાગી હતી. આ બધા પૈસા જનહિતના કાર્યોમાં વાપરવામાં આવે છે.