ચાણસ્મા : ચાણસ્મા અને બહુચરાજી પંથકમાં રેવન્યુ તંત્ર, ફોરેસ્ટખાતું અને પોલિસની રહેમ દ્રષ્ટિ તળે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા લીલા વૃક્ષો કાપવાની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. જેને પરિણામે પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે. સાથે જ વૃક્ષોની ઘટને કરણે આ બંન્ને તાલુકામાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદનું પ્રમાણ વૃક્ષોની ઘટી જતાં લોકો ચિંતામાં મૂક્યા છે.
આ બંન્ને તાલુકાઓમાં વર્ષ દરમિયાન વૃક્ષ વાવો વૃક્ષ બચાવો સહિતના કાર્યક્રમો પાછળ દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે. ઠેરઠેર કાર્યક્રમ યોજાય છે. તેની દેખભાળ માટે ફોરેસ્ટ ખાતાની કચેરીઓ ખોલવામાં આવી છે. પરંતું તેનું ધાર્યું કોઈ જ પરિણામ મળતું નથી. ઉલટાનું આ તમામ વિભાગોના હપ્તાથી બિન્દાસ્તપણે દિવસ રાત ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી હદમાંથી લીલા વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલી રહી છે. હવે તો ખેડૂતો તેમની માલિકીની હદમાં આવેલા વૃક્ષો પાણીના મૂલે વેચી રહ્યા છે. વૃક્ષ છેદને પ્રવૃત્તિ સાથે જ ગામે ગામથી કોન્ટ્રાક્ટરનો ધંધો કરતા લોકો અને જંગલ ખાતાની મીલિભગતના કારણે ખેતરોમાંથી વૃક્ષો કાપી ટ્રેક્ટરો મારફતે બંન્ને તાલુકાઓમાં આપેલી સો-મિલોમાં લાખો ટન લાકડું વેચાઈ રહ્યું છે. વર્ષોથી આ પ્રવૃતિ ચાલે છે. ધોળાદિવસે ચાલતી આ પ્રવૃતિ રોકવામાં ફોરેસ્ટ ખાતું અને રેવેન્યુ ખાતું સદંતર નિષ્ફળ ગયું છે. વૃક્ષોની સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે. તેની સાથે જ ચોમાસામાં વરસાદ ન થતાં આ વિસ્તાર રણમાં ફેરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.