અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ચોરીનો સિલિસલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. પોલીસના ખોફ વગર તસ્કરો બિનધાસ્ત ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે પોલીસ તેમને પકડવા માટે ફાંફાં મારી રહી છે. નરોડામાં આવેલ શાંતિપથ રેસિડન્સીના ત્રણ ફ્લેટમાં અને તેની બાજુમાં આવેલ સમોર રેસિડન્સીના એક ફ્લેટમાં તસ્કરો ચોરી કરીને નાસી ગયા છે.
નરોડા વિસ્તારમાં આવેલ શાંતિપથ રેસિડન્સી બી-ર૦૪ નંબરના ફ્લેટમાં રહેતા અને સાણંદ જીઆઇડીસીમાં નોકરી કરત જયપાલસિંહ રાજેન્દ્રસિંહ રહેવર તેમના પરિવાર સાથે બહારગામ ગયા ત્યારે તસ્કરોએ ફ્લેટમાં ઘૂસીને ર૩ તોલા સોનું અને ચાંદીના દાગીના સહિત પ૦ હજાર રોક્ડની ચોરી કરી હતી.
તસ્કરોએ શાંતિપથ રેસિડન્સીના ફ્લેટ નંબર બી-૪૦૪માં રહેતા જીતેન્દ્રભાઇ માળિયાના ઘરમાં પણ ચોરી કરી હતી. જીતેન્દ્રભાઇના ફ્લેટનો દરવાજો તોડીને તસ્કરો ૩ર હજાર રૂપિયા રોક્ડા લઇને ફરાર થઇ ગયા હતા જ્યારે ડી-૪૦૩માં રહેતા દિનેશભાઇના ઘરેથી પણ તસ્કરોએ લાખો રૂપિયાના સરસામાનની ચોરી કરી હતી. દિનેશભાઇ બહારગામ ગયા હોવાના કારણે તેમના ફ્લેટમાં કેટલા રૂપિયાની ચોરી થઇ છે તે હજુ સુધી જાણ શકાયું નથી.
આ સિવાય તસ્કરોએ સમોર રેસીડન્સીમાં રહેતા યતેન્દ્ર રાજપૂતના ફ્લેટમાં ઘૂસીને સોનાની ચેઇન તોડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણ યુવકોએ આ ચાર ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. શાંતિપથ રેસિડન્સી ર૪ કલાક સિક્યોરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરાથી સજ્જ હોવા છતાંય ત્રણ તસ્કરો શાંતિપથ રેસિડન્સીનો પાછળનો ગેટ કૂદીને આવ્યા હતા. મુખ્ય દરવાજા પર સિક્યોરિટી ગાર્ડ હોવાથી તેઓ પાછળથી આવ્યા હતા.
ત્રણેય જણાએ શાંતિપથ રેસિડન્સીમાં ત્રણ અને સમોર રેસિડન્સીમાં એક ફ્લેટમાં ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે અને દરરોજ એક કે બે ચોરીના બનાવ બની રહ્યા છે.