પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકાના ગુજરવાડા ગામે શોષકૂવામાં પડી જતા એકબીજાને બચાવવા જતા કુલ પાંચ વ્યક્તિઓના મોત થયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ આ મૃતકોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.ચાર-ચાર લાખની સહાય આપવાની આજે મહત્વની જાહેરાત કરી હતી. બે દિવસ પહેલાં સમી તાલુકાના ગુજરવાડા ગામે શૌચાલયના શોષકૂવાના પથ્થર પગ મૂકતાં જ તૂટી પડતાં કૂવામાં ખાબકેલા પતિને બચાવવા જતાં પત્ની અને ત્રણ કુટુંબીઓનાં કૂવામાં સરકી પડતાં ગેસથી ગુંગળાઇ જવાથી પાંચેયનાં મોત થયાં હતાં. જ્યારે બે વ્યક્તિ અંદર ઉતર્યા પછી રહી શકાય તેમ ન હોઇ બહાર નીકળી જતાં બચી ગયા હતા. આ ઘટનાથી સમી વઢિયાર પંથકના નાડોદા સમાજમાં હાહાકાર મચી ગયો હતો. શોષકૂવામાં પડવાને કારણે મોતને ભટેલા લોકોમાં રતા જલાભાઇ ચેલાભાઇ નાડોદા(ઉ.વ.૪૫),મંજુલાબેન રતાભાઇ નાડોદા (ઉ.વ.૪૨), રતા જલાભાઇ દેવાભાઇ નાડોદા (ઉ.વ.૫૦), અજા ભાઇ ગગજીભાઇ નાડોદા (ઉ.વ.૬૦), રાજાભાઇ પચાણ ભાઇ નાડોદા (ઉ.વ.૪૫)નો સમાવેશ થતો હતો. આ કરૂણાંતિકાને રાજય સરકારે પણ ગંભીરતાથી લીધી હતી અને આખરે માનવીય અભિગમ અપનાવી ગુજરવાડામાં શોષકૂવામાં પડવાથી મૃત્યુ પામેલા ઉપરોકત મૃતકોના વારસદારો-પરિવારજનોને ચાર-ચાર લાખની સહાયની અગત્યની જાહેરાત કરી હતી.