પાલનપુર
ઉત્તર ગુજરાત વીજ કંપનીએ બનાસકાંઠામાં કૃષિલક્ષી વીજ જોડાણોમાં મોટી રકમનો દંડ ફટકારતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. યુજીવીસીએલના આ પગલાથી વિફરેલા ખેડૂતોએ આજે સામુહિક રીતે પાલનપુર ખાતેની વર્તુળ વીજ કચેરીએ ધસી જઇ દંડની રકમ માફ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી.
આ વર્ષે બનાસકાંઠામાં પૂરતો વરસાદ થયો નથી જેથી ખેતીપાકોને બચાવવા ખેડૂતો ચિંતિત છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ ઘણા ખેડૂતોના કૃષિલક્ષી વીજ જોડાણો કાપી દઈ ખેડૂતોને મોટી રકમનો દંડ ફટકારતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવી સ્થિતિમાં બનાસકાંઠાના દિયોદર અને લાખણી પંથકના ખેડૂતોએ આજે સામુહિક રીતે પાલનપુર ખાતે એરોમા સર્કલ નજીક આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપનીના મુખ્ય અધિક્ષકની કચેરીએ ધસી આવી રોષ ઠાલવ્યો હતો. ખેડૂતો લોડ વધારો માંગવાની જગ્યાએ વીજ ચોરી કરતા હોવાના આક્ષેપો કરી વીજ જોડાણ કાપી નાંખવાની કાર્યવાહીથી રોષે ભરાયેલા ખેડૂતોએ આજે પાલનપુર ખાતે વીજ કંપનીની વર્તુળ કચેરીએ ધસી આવી વીજ તંત્રના સક્ષમ અધિકારી સમક્ષ રજુઆત કરી જો દંડની રકમ માફ ના કરાય તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
જોકે ખેડૂતોની આવી રજૂઆતના પગલે ઉત્તર ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ દંડની રકમમાં ૭૦% માફી આપી બાકીની ૩૦ ટકા રકમનો દંડ ભરવા ખેડૂતોને જણાવ્યું હતું.પરંતુ ખેડૂતોએ માત્ર ૧૦ ટકા રકમ જ ભરવાની તૈયારી દર્શાવતા આખરે વિજકંપનીના અધિકારીઓએ પણ નમતું જોખી દંડની રકમમાં વધુ છૂટ આપી માત્ર ૨૦ ટકા રકમ ભરવાની મંજૂરી આપી હતી.