પાલનપુર : પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠાના સંસદ સભ્ય પરબભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો. ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ‘‘દિશા’’ની બેઠક યોજાઇ હતી. જેમાં દિશા અંતર્ગત આવરી લેવાયેલ યોજનાઓની વર્ષ-૨૦૧૯-૨૦ના જૂન-૨૦૧૯ અંતિત કામગીરી અને પંચાયત દર્પણ ઇન્ડીકેટરની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, સરકારની વિવિધ પ્રજા કલ્યાણની યોજનાઓનો લાભાર્થીઓને પુરતા પ્રમાણમાં લાભ મળે જેનાથી તેમની આવક અને સુખ-સુવિધામાં વધારો કરી શકાય તે બાબતની કાળજી રાખી પરિણામદાયી પ્રયાસો કરીએ. સાંસદએ કહ્યું કે લોકોને જરૂરી સુવિધાઓ જેવી કે શિક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, રસ્તા, વીજળી, સિંચાઇ સહિત તમામ સુવિધાઓ આપવા છેવાડાના વિસ્તારના અગ્રણીઓ અને ગ્રામજનો સાથે સંપર્ક કેળવી તેમની જરૂરીયાત પ્રમાણે વિકાસકામો કરીએ. સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક દોઢ દાયકામાં વિકાસકામો પુરતી સંખ્યામાં કરવામાં આવ્યા છે. કલેકટર સંદીપ સાગલેએ વિકાસકામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તથા જિલ્લામાં જરૂરી સુવિધાઓ ઝડપભેર ઉપલબ્ધ બનાવવા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન અને સુચના આપી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. વી. વાળાએ વિકાસકીય વિગતો રજુ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ-૨૦૧૯-૨૦માં ૧૯,૮૨૪ ના લક્ષ્યાં ક સામે જુલાઇ-૨૦૧૯ અંતિત ૧૮,૩૦૭ આવાસો મંજુર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વર્ષ-૨૦૧૯ -૨૦માં ૨,૦૪,૩૪૬ના લક્ષ્યાંક સામે ૨,૬૧,૬૬૪ લાભાર્થીઓને ગેસ કનેકશન આપી ૧૨૮ ટકા કામગીરી કરવામાં આવી છે. બેઠકમાં નર્મદા યોજના, નેશનલ હેલ્થ મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, સર્વ શિક્ષા અભિયાન, નેશનલ રૂરલ ડ્રિન્કીંગ વોટર પ્રોગ્રામ, મીડ-ડે મીલ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, વિધવા પેન્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન અને સ્માર્ટ સીટી મિશન સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યો મહેશભાઇ પટેલ, કાંતિભાઇ ખરાડી, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા, જિલ્લા વિકાસ અધિકારી બી. એ. શાહ, નગર પાલિકાના પ્રમુખઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.