એસસી/એસટી એકટ વિરુદ્ઘ બોલનારા દ્વારકા-શારદાપીઠ અને જયોતિપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રવિવારે કહ્યું કે, અનામતને સંપૂર્ણ રીતે નાબૂદ કરી દેવી જોઈએ. તેમણે કહ્યું કે, તેના બદલે સમાજના દરેક વર્ગને ઉન્નતિની સમાન તક આપી સમાજ સેવા યોગ્ય બનાવવા જોઈએ, ત્યારે જ બધાનું ભલું શકય છે. તેમના પ્રતિનિધિ દ્વારા જારી નિવેદનમાં આ મુજબ જણાવાયું છે. સ્ટેટમેન્ટ મુજબ, સ્વામીએ કહ્યું કે, જેને શિક્ષણ, નોકરી, પ્રમોશન બધામાં અનામતની વિશેષ સુવિધા મળી રહી હોય, તેમને કોઈ શું હેરાન કરી શકશે? તેમણે સવાલ કર્યો કે, જયારે તે અનામતનો લાભ ઉઠાવી ઉચ્ચ પદો પર બેઠા છે, તો તેમની સતામણી શકય પણ છે ખરી? તેમના પર કોઈ કઈ રીતે અત્યાચાર કરશે? નેતાઓએ દરેક વ્યકિત, દરેક વર્ગના કલ્યાણ માટે વિચારવું જોઈએ, નહીં કે માત્ર કોઈ વર્ગ વિશેષ માટે. તેમણે કહ્યું કે,'અનામત સંપૂર્ણ રીતે નાબૂદ થવી જોઈએ અને બધાને ઉન્નતિની સરખી તક આપી સમાજ સેવા કરવા યોગ્ય બનાવવા જોઈએ. જો યોગ્યતા વિના અનામતના આધાર પર ડોકટર બનશે તો પેટમાં કાતર જ ભૂલશે, અને જો પ્રોફેસર બનશે તો તે ભણાવશે નહીં. એ જ પ્રકારે એન્જિનિયર બનશે તો પુલ પાડશે. એવું ન કરો. તેમને પણ યોગ્ય બનવા દો, તેમને પ્રતિસ્પર્ધામાં આવવા દો. ત્યારે તેમનો વિકાસ થશે. તેમને માત્ર વોટ બેંક બનાવીને રાખવા તેમના પ્રત્યે અત્યાચાર સમાન છે.