બનાસકાંઠા જિલ્લામાં ગત ચોમાસામાં નહિવત વરસાદના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. જોકે, સરકાર દ્વારા જિલ્લાના મોટાભાગના તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા છે. પરંતુ થરાદ તાલુકાનાં ખેડૂતો છેલ્લા એક અઠવાડીયાથી ઘાસચારા માટે ધરમધક્કા ખાઈ રહ્યા છે. ખેડૂતોએ ઘાસચારો આપવામાં વ્હાલાદ્વાલાની નીતિ અપનાવતી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ પૂરતા પ્રમાણમાં ઘાસચારો આપવામાં આવતો ન હોય આજે થરાદ નાયબ મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ જો ઘાસચારો નહીં મળેતો આંદોલન કરવાની ચીમકી આપી છે.