દેશની સૌથી સુરક્ષિત ગણાતી તિહાર જેલથી એક કેદી 26 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે ફરાર થઈ ગયો હતો. તેનો ખુલાસો ત્યારે થયો જ્યારે સાંજના સમયે સેમી ઓપન જેલના કેદીઓની ગણતરી થઈ. એક કેદી ઓછો નીકળતા જેલ પ્રશાસનમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ તેની માહિતી પોલીસને આપવામાં આવી. હાઈલેવલ તપાસ કમિટી બેસાડી દેવામાં આવી. કેદીને શોધવામાં પોલીસ દળ નીકળ્યું પણ, પરંતુ આ દરમિયાન કેદી પાછો જેલમાં આવી ગયો.
કેદીનું નામ સલીમ છે. તે સેમી ઓપન જેલમાં બંધ હતો. રક્ષાબંધનના દિવસે તેણે અધિકારીઓની ગાડી સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તક મળતા જ તે ફરાર થઈ ગયો. સાંજના સમયે જ્યારે સેમી ઓપન જેલના કેદીઓની ગણતરી શરૂ થઈ તો તેમાં એક કેદી ઓછો નીકળ્યો ત્યારબાદ તેના વિશે ખબર પડી.
કહેવાઈ રહ્યું છે કે, સલીમ છેલ્લા સાડા 13 વર્ષથી જેલમાં છે. તે હત્યા અને હત્યાનો પ્રયાસ કરવાના મામલે આજીવન કેદની સજા કાપી રહ્યો છે. સૂત્રો પ્રમાણે, મુઝફ્ફરનગરનો રહેવાસી સલીમ ઓફિસરોથી નારાજ હતો. કારણ કે, તેની પાસે ઓફિસરોની ગાડીઓ સાફ કરાવવામાં આવતી હતી. આ બાબતની તે ઘણી વાર ફરીયાદ પણ કરી ચૂક્યો હતો.
ડીજી તિહાર અજય કશ્યપ પ્રમાણે, સેમી ઓપન જેલના કેદીઓને અમુક રાહત આપવામાં આવે છે, પરંતુ સમય મર્યાદા હેઠળ જો કેદી પાછો ના આવે તો કાર્યવાહી કરવામાં આવે છે. સલીમનો રેકોર્ડ જેલમાં ઘણો સારો રહ્યો છે. તેણે આ પહેલા ક્યારેય પણ જેલના નિયમો તોડ્યા નહોતા, પરંતુ આ વખતે તે ઘણો નારાજ હતો જેના કારણે આ પગલું ભર્યું હતું.