નાગરિકતા કાયદો બન્યા બાદ ભાજપ અને સરકારને લાગતું હતું કે જે વિરોધ થઇ રહ્યો છે, તે થોડા દિવસની વાત છે. સંભાળી લેશું. પરંતુ 13 રાજ્યોમાં જે પ્રકારની હિંસા થઈ, સેંકડો-હજારો લોકો માર્ગો પર ઉતરી આવ્યા, ગોળીઓ વરસી, પથ્થરમારો થયો અને 22 લોકોએ જીવ ગુમાવવો પડ્યો. તેનાથી ભાજપનો આ ભ્રમ સંપૂર્ણપણે દૂર થઇ ગયો છે. કદાચ એટલા માટે 11 દિવસ બાદ તેણે નિર્ણય લીધો છે કે તે નાગરિકતા કાયદા અંગે લોકોનો ભ્રમ દૂર કરવા માટે ઘેર-ઘેર જશે. શનિવારે ભાજપે પોતાના મેગા પ્લાનની જાહેરાત કરી. આ મેગા પ્લાન દરમિયાન ભાજપના મોટા નેતા, મંત્રીઓ 1000 રેલી કરશે. આશરે દરેક જિલ્લાના લોકોને નાગરિકતા અંગેની અફવા અને સત્ય વંચ્ચેનું અંતર સમજાવશે. ભાજપ આ સમયમાં 250 પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સાથે વાત કરશે. ભાજપે બધુ થઇને 3 કરોડ પરિવારો સુધી નાગરિકતા કાયદા અંગે સરકારનું સત્ય પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે.
લોકોને સમજાવવાના આ મેગા પ્લાનની જાહેરાત કરતા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે દેશમાં વિપક્ષ આ એક્ટ અંગે ભ્રમ ફેલાવી રહ્યો છે. તેમણે કહ્યું કે બિહારમાં કોંગ્રેસના સાથી પક્ષ આરજેડીએ આંદોલન દરમિયાન હિંસા કરી. શું કોંગ્રેસ આવા પ્રકારના હિંસક રાજકારણને સમર્થન આપે છે? નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં હિંસક દેખાવો અંગે ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે વિપક્ષ દ્વ્રારા ભ્રમ અને જૂઠનું રાજકારણ થઇ રહ્યું છે. તેનો અમે જવાબ આપીશું. તેમણે કહ્યું કે ભાજપનું માનવું છે કે નાગરિકતા સુધારા કાયદાના માધ્યમથી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ધાર્મિક અત્યાચારના શિકાર અનેક લોકોને નવી આશા, વિશ્વાસ, સુરક્ષા, આસ્થા, ગરિમાપૂર્ણ જીવન આપવાનો માર્ગ મોકળો થયો છે.