પાલનપુર તાલુકાના આકેસણ ગામમાં નગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન માટે જમીનની કલેકટર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. આ જગ્યાએ ઉભેલા ૨૦૦૦ વૃક્ષોનું કાપવા માટે વન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે વૃક્ષો બચાવવા તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના વિરોધમાં લાલઘૂમ થયેલા ગ્રામજનોએ પાલનપુર કલેકટર કચેરીએ ધરણાં યોજી આવેદનપત્ર સુપરત કર્યું હતું.
પાલનપુર નજીક આવેલા આકેસણ ગામની સર્વે નં. ૨૦૦ની જમીનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા માટે નગરપાલિકાએ કલેકટર સમક્ષ દરખાસ્ત કરી છે. આ જમીનમાં ઉભા કરાયેલા ગ્રામવનના બે હજાર જેટલા વૃક્ષો કાપવા માટે વન વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. જેનો ગ્રામજનો સખ્ત વિરોધ કરી રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ, ઉપ સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ પાલનપુર કલેકટર કચેરી ખાતે ધરણાં યોજી આવેદનપત્ર આપ્યું હતુ.
જેમાં જણાવ્યું હતુ કે, અમારા ગામના ગ્રામવનને કાપવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. અમે કોઇપણ ભોગે તેમ થવા નહી દઇએ. આ અંગે વન વિભાગના અધિકારીને લીગલ નોટિસ પણ આપવામાં આવી છે. ગામમાં તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ગામતળના અભાવે રહેવામાં મુશકેલીઓ થઇ રહી છે. ત્યારે આ જમીન પાલનપુર નગરપાલિકાને ફાળવાશે તો ગ્રામજનો કયાં જશે.
બીજી તરફ જો જમીન ફાળવાય અને ગંદા પાણીનો નિકાલ થાય તો દુર્ગંધના કારણે ગામમાં ભારે રોગચાળો ફાટી નીળવાની પણ ભિતી છે. માટે આ જમીન ગામના ઉપયોગ માટે નીમ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. જો ઝાડ કપાશે અને જમીન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન માટે ફાળવાશે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.