રાજકોટ: ઉત્તરાખંડમાં ગંગોત્રી ખાતે માર્ગ અકસ્માતમાં રાજકોટ શહેરના 8 લોકોના મોત નિપજ્યા હતા. ગઈકાલે રાત્રે તંત્રની મદદથી એરફોર્સના હેલિકોપ્ટર મારફતે તમામ મૃતદેહોને રાજકોટ લાવવામાં આવ્યા હતા. જે પૈકી ગઈકાલે જ એક મૃતકના અંતિમસંસ્કાર કરાયા હતા. ત્યારે આજરોજ વહેલી સવારે બાકીના તમામ 7 મોતને ભેંટનાર હતભાગીઓની અંતિમયાત્રા નિકળી હતી. જેમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. શહેરની રામેશ્વર સોસાયટી અને ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાંથી નિકળેલી આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
શહેરના રામનાથપરા અંતિમધામ ખાતે તમામ મૃતકોના અંતિમ સંસ્કાર કરવાના હોઈ બધી અંતિમયાત્રા રામનાથપરા પહોંચી હતી. સાંસદ મોહન કુંડારિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી અને મેયર બીનાબેન આચાર્ય પણ રામનાથપરા અંતિમધામ ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. ચારધામની યાત્રાએ ગયેલા કડીયા સમાજના એકસાથે 8 નાં મોત નિપજતા આ સમાજ પર જાણે આભ ફાટ્યું તેવા દ્રશ્યો સર્જાયા હતા અને સમગ્ર શહેરમાં ગમગીનીભર્યો માહોલ જોવા મળ્યો હતો.
રાજકોટના મૃતકોના નામ
1. હેમરાજભાઈ બેચરભાઈ રામપરીયા 55વર્ષ
2. મગનભાઈ શામજીભાઈ સેવટીયા 62 વર્ષ
3. ભગવાનજીભાઈ ભવાનભાઈ રાઠોડ 60 વર્ષ
4. ગોદાવરીબેન ભગવાનભાઈ રાઠોડ 56 વર્ષ
5. ચંદુભાઈ તુલસીભાઈ ટાંક 62 વર્ષ
6. દેવજીભાઈ હિરજીભાઈ ટાંક 62 વર્ષ
7. ભાનુબેન દેવજીભાઈ ટાંક 55 વર્ષ