મોરબીના રવાપર રોડ પર મોડીરાત્રે એક યુવાનની તેના ઘર બહાર જ અજાણ્યા શખ્સો પ્રેમપ્રકરણમાં છરીના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. લોહી લથબથ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનની માતાએ ત્રણ શખ્સો સામે હત્યાનો આક્ષેપ પોલીસ સમક્ષ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર મોડી રાત્રે એક 20 વર્ષીય રાહુલ અશ્વિનભાઇ ભોજકની તેના ઘરની બહાર જ અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. યુવાન પોતાના મિત્રો સાથએ બહાર ગયો હતો. રાત્રે ઘરે ફરતી વખતે કોઇ અજાણ્યા શખ્સોએ તેને પાછળથી છરીના ઘા ઝીંકી દીધા હતા. છરીના ઘા ઝીંકાયા બાદ યુવકને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાને કારણે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. યુવક રાજકોટ પહોંચે તે પહેલા જ તેનું રસ્તામાં નિધન થઈ ગયું હતું. યુવકનું મોત થયા બાદ આ બનાવ હત્યામાં ફેરવાયો હતો.
યુવકની માતા ભારતીબેન રાવળદેવે તેના પુત્રની હત્યા માટે ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા હતા. તેના કહેવા પ્રમાણે તેનો પુત્ર સિરામિકની ફેક્ટરીમાં કામ કરતો હતો. બુધવારે રાત્રે તે તેના મિત્ર સાથે જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફર્યો ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રે સાડા દસની આસપાસ તેના પર હુમલો થયો હતો. માતાના જણાવ્યા પ્રમાણે ગૌરીબેન રાવળ અને અમદાવાદના દક્ષિણ ચૌહાણ નામના વ્યક્તિએ તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.