પેપોળ : વડગામ તાલુકાના સકલાણા પ્રાથમિક શાળાનો વિવાદ દિવસે દિવસે વકરતો જાય છે. શનિવાર બાદ સોમવારના પણ તમામ વિધાર્થીઓને શિક્ષણ કાર્યથી ગ્રામજનો અને વાલીઓએ અળગા રાખ્યા હતા. શિક્ષણ વિભાગ દ્વારા બુધવાર સુધી નિકાલ લાવવા માગ કરવામાં આવી છે. અચોક્કસ મુદત સુધી શાળામાં વિધાર્થીઓને શિક્ષણ કાર્યથી અળગા રખીને બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં
આવી છે. સકલાણા પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ વર્ષથી એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે. શાળામાં શિક્ષકની ઘટ હોવાથી શિક્ષણ વિભાગના સત્તાધીશો દ્વારા વડગામના રજોસણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકને સકલાણા પ્રાથમિક શાળામાં મુકાતાં ગ્રામજનો દ્વારા એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક હોવાથી બીજાને ન મુકવા રજૂઆતો કરાઇ હતી. પરંતુ શિક્ષણ વિભાગના સત્તાધીશો ગ્રામજનોની માંગણીને અવગણીને પોતાનું ધાર્યું કરીને સકલાણા પ્રાથમિક શાળામાં પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મુકાતાં ગ્રામજનોમાં વિવાદ સર્જાયો છે. એક શાળામાં બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક મુકાતાં વિધાર્થીઓના શિક્ષણ પર સવાલો ઉભા થયા છે ? ગ્રામજનો દ્વારા અન્ય શિક્ષકને મુકવા રટણ કરતાં શિક્ષણ વિભાગના સત્તાધીશો સાંભળતા જ નથી જેના કારણે ગ્રામજનો તંત્ર સામે રોષે ભરાયાં છે અને વિધાર્થીઓને શાળાથી અળગા રાખીને વિરોધ દર્શાવી રહ્યા છે. શાળાની બહાર ગેટ ઉપર સ્પષ્ટ કોલસાથી લખાયું છે કે, અચોક્કસ મુદતનો શૈક્ષણિક બહિષ્કાર તેવું વાલી મંડળ અને ગ્રામજનો દ્વારા લખવામાં આવ્યું છે.