પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામા પ્રધાન મંત્રી કિસાન યોજનામા ચોકનારી વિગતો બહાર આવી છે. આ યોજના તળે કામ કરતા વીસીઇને રૂ.૬૮ લાખ જેટલી મહેનતાણાની રકમ ચૂકવાઈ જ નથી. જ્યારે અધિકારીઓએ પીએમ કિસાન મા વાહવાહી મેળવી પરંતુ વીસીઇઓનું મહેનતાણુ ન ચૂકવતા ૮૨૦ પરિવાર અટવાયા છે અને ખેડૂતો ના ઓન લાઈન ફોર્મ ભરવાના બંધ થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
બનાસકાંઠા જિલ્લામા પી.એમ.કિસાન યોજનામાં વાહવાહી મેળવવા અને લોકસભા ની ચૂંટણી નો ટાર્ગેટ પૂરો કરવા વહીવટી તંત્ર એ ખેડૂતોના ખાતામાં પૈસા નાખી લક્ષ્યાંક પૂરો કરવાનો હતો. જોકે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા ઓનલાઇન એન્ટ્રીની કામગીરી માટે પ્રતિ ખેડૂત કુટુંબ ડેટા એન્ટ્રી માટે વીસ રૂપિયાનું ચૂકવણું નક્કી કરીને ૮૨૦ વી. સી.ઇ.ને કામગીરી સોંપાઇ હતી. જોકે આ કામગીરી ચૂંટણીના ભાગરૂપે હતી. અને ચૂંટણી પહેલા આ કામગીરી પૂરી કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે આ વી.સી.ઇ એ રાત- દિવસ જોયા વગર તમામ ખેડૂતોની ડેટા એન્ટ્રી કરી હતી અને ચૂંટણીમાં ફાયદો કરાવ્યો હતો. જેને લઈ સરકારને લોકસભાની ચૂંટણી ફળી હતી. પરંતુ આજે વહીવટી તંત્રનું કામ કરી અને ખેડૂતોને પીએમ કિસાન નો લાભ અપાવનારા ઓપરેટર આજે તેમના મહેનતાણાની વંચિત છે.
રાત દિવસ મહેનત કરીને લોકસભાની ચૂંટણી લક્ષી પ્રોજેક્ટ પૂરો કર્યો. પરંતુ હવે તેમને વહીવટી તંત્ર સંતોષકારક જવાબ ન આપી આડોડાઈ ભર્યો જવાબ આપી રહ્યું છે. ત્યારે આ વી સી ઇ એ આજે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરીને પોતાનો હક માંગ્યો હોવાનું રામસિંહ સોલંકીએ જણાવ્યું હતું. ૬૮ લાખ જેટલી રકમ અને ૮૨૦ જેટલા ઓપરેટરોએ રાત દિવસ જોયા નથી. ત્યારે તેમને મહેનતના પૈસા આપવામાં વહીવટી તંત્ર અને સરકાર આડોડાઈ કરી રહી છે. ૮૨૦ કુટુંબો આની સાથે જોડાયેલા છે. ત્યારે હવે આ ડેટા ઓપરેટરોને પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ એક પ્રશ્ન છે ? ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા વહીવટી તંત્રને સરકારને ફાયદો કરાવનારા ડેટા ઓપરેટરો પોતાના મહેનતના હકને લઇને રઝળી રહ્યા છે ૬ માસ વીતી ગયા હોવા છતાં આ ઓપરેટરોને એક પણ પાઇ ચૂકવવામાં આવી ન હોવાનું રમેશ મકવાણા નામના વીસીઇ એ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ પીએમ કિસાન યોજનામાં કામ કરી અને વાહવાહી મેળવી અધિકારીઓએ એવોર્ડ મેળવ્યા. ત્યારે રાજ્યમાં વહીવટી તંત્રના અધિકારીનું નામ થયું પરંતુ જે પ્રકારે જેમના થકી નામ થયું છે જેમના થકી કામગીરી થઇ છે રાત દિવસ ઉજાગરા કર્યા છે. તેઓજ તેમના હકથી વંચિત છે. ત્યારે હવે આ ઓપરેટરોએ જ્યાં સુધી પોતાનું મહેનતાણું નહીં મળે ત્યાં સુધી ખેડૂતોના ઓનલાઇન ફોર્મ નહીં ભરાય તેવી ચીમકી ઉચ્ચારી છે.