નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય)ને ચાર વર્ષ સમાપ્ત થવા આવી રહ્યાં છે ત્યારે ભારત સરકાર હવે આ યોજનાનો વ્યાપ વધારવા આગળ વધી રહી છે. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ ભારત સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ આ યોજના હવે તેના ૩૨.૨૫ કરોડ લાભાર્થીઓ સાથે અનેક સરકારી યોજનાઓના અમલનું માધ્યમ બની ચૂકી છે.
૧ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ જન ધન યોજનામાં કુલ બેલેન્સ રૂ. ૮૦,૬૭૫ કરોડ છે, જેમાં જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ. ૬૪,૩૮૮ કરોડની ડિપોઝિટ છે. હવે કેન્દ્ર સરકાર જન ધન યોજનાનો વ્યાપ વધારવા તેમજ તેની પહોંચ અને અસરને વધુ વિસ્તારવા માટે જન ધન યોજના-૨ લાવવાની દિશામાં આગળ વધી રહી છે.
સરકાર જન ધન યોજના-ર લાવીને ૧૦ થી ૧૨ કરોડ જેટલા લોકોને હજુ આવરી લેવા માગે છે કે જેઓ હજુ કોઇ બેન્ક ખાતાં ધરાવતા નથી. ૩૨ કરોડ કરતાં વધુ લોકોને બેન્કિંગ સાથે સાંકળવામાં આવ્યા તે એક મોટી સિદ્ધિ છે, પરંતુ હજુ આ દિશામાં વધુ કાર્ય કરવાની જરૂર છે એવું અગ્રણી બેન્કરોનું માનવું છે.