વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં એક મહિલાની ઈમાનદારી હાલ ચર્ચાનો વિષય બન્યો છે. વ્યવસાયે દરજી એક મહિલાને ભૂલથી રૂ. 8.5 લાખ મળી ગયા હતા. પરંતુ તેણે કોઈ પણ લાલચ રાખ્યા વગર તે પૈસા પાછા આપી દીધા હતા.
શિવશંકરી નામની મહિલા વ્યવસાયે દરજીકામ કરતી હતી. તે તેની ભત્રીજી સાથે કાપડની દુકાને ગઈ હતી. તેની સાથે એક બેગ હતી જે તેણે દુકાનના ટેબલ પર મુકીને જ શોપિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેને જે કાપડ પસંદ આવ્યા તે તેણે પેક કરવાનું કહી દીધું હતું. તેમણે કાપડનું પેમેન્ટ કર્યું અને દુકાનવાળાએ તેને એક બેગમાં પેક કરીને આપી દીધા. શિવશંકરી પોતાના ઘરે પાછી આવી ગઈ.
ઘરે આવીને તેણે બેગમાંથી કપડાં કાઢ્યા તો જોયુ કે તેમાં નોટોના બંડલ પણ હતા. તેણે પૈસા ગણીને જોયું તો તે રૂ. 8.5 લાખ હતા. શિવશંકરીને સમજાતુ નહતું કે તેના બેગમાં આ પૈસા આવ્યા કેવી રીતે. તેથી તે પાછી દુકાનદાર પાસે ગઈ હતી. તે ત્યાં પહોંચી ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પૂછવાથી ખબર પડી કે, દુકાનદારના રૂ. 8.5 ગાયબ થયા છે. તેથી પોલીસ બોલાવવામાં આવી છે. શિવશંકરી તુરંત દુકાનમાં ગઈ અને તેણે જણાવ્યું કે, પૈસા તેની પાસે છે. દુકાનદારે કપડાં પેક કરતી વખતે ભૂલમાંથી તેમાં મુકી દીધા હતા.
શિવશંકરીની ઈમાનદારીના દુકાનદાર સહિત પોલીસે પણ વખાણ કર્યા હતા. દુકાનદારના જણાવ્યા પ્રમાણે મહિલા ઈચ્છતી તો બધા પૈસા રાખી લેતી અને કોઈને ખબર પણ ન પડતી. પરંતુ તેણે લાલચ ન કરી. પૈસા પરત કરતા તેણે કહ્યું કે, તેને માત્ર પોતાની મહેનતના પૈસા જ જોઈએ છે.