જમીનની બોગસ ફેરમાપણીથી સર્જાયેલા ઉહાપોહ વચ્ચે સરકારની બોલતી બંધ ઃ ગોટાળા માટે જવાબદાર કોણ...?
ગુજરાત સરકાર આધુનિકતાના રવાડે ચઢી નિતનવા નિર્ણયો લઈ રહી છે.જોકે ઇ - ગવર્નન્સના નામે આધુનિકતાના સહારે અમલી બનાવાયેલા મોટા ભાગના નિર્ણયો ભૂલભરેલા હોવાનું સાબિત થઈ ગયા બાદ પણ ઉચ્ચ અધિકારીઓ સરકારને ઊંધા ચશ્મા પહેરાવી નવા બિનજરૂરી નિર્ણયો લેવડાવી રહ્યા છે.અગાઉ જમીન દફ્તરને ઓનલાઈન કરાયા બાદ ખેડૂતોને ૭-૧૨ અને ૮-અ ના ઉતારા લેવામાં નાકે દમ આવી જતો હોવાની તેમજ સસ્તા અનાજની દુકાને પુરવઠો લેવા જતા કાર્ડધારકોને પણ ઇન્ટરનેટની અવળચંડાઈનો શિકાર બની પુરવઠાથી વંચિત રહેવાની ફરજ પડતી હોવાની થોકબંધ ફરિયાદોનો સરકારના હોશિયાર મનાતા અધિકારીઓ કોઈ સ્થાયી ઉકેલ શોધી શકયા નથી ત્યાં જ હવે આધુનિકતાના નામે રાજ્યના લાખો ખેડૂતોની માલિકીની જમીન મામલે પણ રાજ્ય સરકારની બિનજરૂરી ઉતાવળે મોટો બખેડો સર્જયો છે અને આ મામલે રાજ્ય ભરમાં ભારે ઉહાપોહ સર્જાયા બાદ પણ સરકારે કોઈ પ્રતિક્રિયા આપવાની હિંમત કરી નથી.જે આ મામલે કાચું કપાઈ ગયું હોવાનો સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે.
વાત છે સરકારના આધુનિક અભિગમની નિષ્ફળ તાની... થોડા વર્ષો પૂર્વે સરકારે જમીન દફ્તરને ઓનલાઈન કરી દીધા બાદ ખેડૂતોની જમીનનું પણ સેટેલાઇટ ઇમેજથી રિસર્વે કરાવવાનો નિર્ણય કર્યો હતો.દરમ્યાન, રાજ્યભરમા સેટેલાઇટ ઈમેજના આધારે જમીનનું રિસર્વે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે પણ ઠેકઠેકાણેથી વ્યાપક ફરિયાદો ઉઠી હતી.જોકે આવી ફરિયાદો સામે રાજ્ય સરકારે આંખ આડા કાન કર્યા હતા.પરંતુ હવે જમીન માપણીમાં ચલાવાયેલી લાલીયાવાડીની ચોકાવનારી વિગતો બહાર આવ્યા બાદ સરકાર અને સરકારી બાબુઓની બોલતી જ બંધ થઈ ગઈ છે.
રાજ્ય સરકારે સેટેલાઈટ ની મદદથી રાજ્યભરમાં જમીનની માપણી કરવા મોટા ઉપાડે હૈદરાબાદની ખાનગી એજન્સીને ૨૬૨ કરોડની માતબર રકમના કોન્ટ્રાક્ટની લ્હાણી કર્યા બાદ આ કંપનીએ તૈયાર કરેલા જમીન માપણીના અહેવાલો ભૂલભરેલા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.