ગુજરાત સરકાર દવારા પાટણ જિલ્લામાં ચાર સરકારી માધ્યમિક શાળાઓ મંજુર કરવામાં આવી છે,જેમાંથી પાટણ જિલ્લાના અને રાધનપુર તાલુકાના છેલ્લા ગામ સુબાપુરામાં રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ સરકારી માધ્યમિક શાળાનો શુભારંભ કરાવ્યો હતો, હાલમાં ધો.૯માં આજુ બાજુના પાંચ ગામના ૨૪ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે,જે પ્રાથમિક શાળાના મકાનમાં બેસીને અભ્યાસ કરશે, ત્યારબાદ માધ્યમિક શાળાનું નવીન મકાન બનાવવામાં આવનાર છે. શંકરભાઇ ચૌધરીએ આ શાળાના વિકાસ માટે જે કઈ મદદની જરૂર પડે તે પુરી પાડવાની લોકોને ખાતરી આપી હતી. પાટણ જિલ્લાના છેલ્લા ગામ એવા સુબાપુરામાં ખાસ કરીને કન્યાઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે એ માટે આ શાળા મંજુર કરવામાં આવી છે, સરકારી માધ્યમિક શાળા શરુ થતા સુબાપુરા ઉપરાંત હનુમાનપુરા, ઓધવનગર-ગોઢ, દેવ અને સુલ્તાનપુરા ગામોના વિદ્યાર્થીઓને આ શાળાનો લાભ મળશે.આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી સોલંકી, પ્રાંત અધિકારી એસ.ડી. ગિલવા, માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી, કરશનભાઇ ચૌધરી, પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી માનાભાઇ રબારી, જિલ્લા શિક્ષણ કચેરીના દિનેશભાઇ પ્રજાપતિ, બી.ટી.પટેલ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય રામજીભાઈ ચૌધરી, અજમલભાઈ ચૌધરી તેમજ યુવાનોએ જહેમત ઉઠાવી હતી.